Mysamachar.in-સુરતઃ
સુરતમાં એક ફિલ્મની સ્ટોરી હોય તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે બે બે મહિલાઓનું જીવન બરબાદ કર્યું. પહેલા પોતાની પત્નીને અને પછી સ્કૂલની પ્રેમિકા સાથે લગ્ન કર્યા. પ્રેમિકા પોતાના પતિને છોડી યુવક સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા જો કે યુવકે ટાઇમપાસ કર્યા બાદ તરછોડી દેતા હવે પરિણીતા ન ઘરની ન ઘાટની રહી હતી. અંતે પરિણીતાએ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.
વાત એવી છે કે સુરતનાં અલથાણા વિસ્તારમાં નિર્મલ આવાસમાં રહેતી મમતા યાદવનાં લગ્ન 27 મે, 2004માં રીતેશ ધોરાવાલા સાથે થયા હતા. આ લગ્નજીવનમાં મમતાને સંતાનમાં બે પુત્રી મહેક અને કિશીતા હતી. આ દરમિયાન મમતાનો સંપર્ક સ્કૂલકાળના મિત્ર દિલ્હીમાં રહેતા અને બે સંતાનના પિતા મનોજ સાથે થયો, મનોજ સાડીના ધંધાર્થે સુરત આવ્યો હતો. સ્કૂલકાળ દરમિયાન એકબીજાની આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. બાદમાં મનોજે મમતાને કહ્યું કે તે પોતાના હાલના દાંપત્યજીવનથી દુઃખી છે. આવી ભોળી ભોળી વાતો કરતાં મમતાના દિલમાં ફરી મનોજ પ્રત્યે પ્રેમ ભાવના જાગી અને તેણીએ પોતાના હાલના પતિ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લઇ લીધો.
ગત વર્ષે મમતાએ તેના પતિ રિતેશને છૂટાછેડા આપી દીધા. બાદમાં મમતા અને મનોજે દિલ્હીમાં તીસહજારી કોર્ટ નજીક આર્ય સમાજ મંદિર ટ્રસ્ટમાં લગ્ન કરી લીધા. મંદિરમાં લગ્ન બાદ મનોજ મમતા સાથે રહેવા માટે સુરત આવી ગયો. અહીં એક મહિના સુધી બંને સાથે રહ્યાં બાદ અચાનક મનોજે મમતાને કહ્યું કે દિલ્હીમાં પ્રથમ પત્નીએ પોતાના અને પરિવાર વિરૃધ્ધ પોલીસ કેસ કર્યો છે અને દિલ્હી જવું પડશે. આવું મનોજ મહિલા ને તરછોડીને ચાલ્યો ગયો હતો.
દિલ્હી ગયા બાદ મનોજના તેવર બદલી ગયા, મમતા અવાર નવાર ફોન કરતી પરંતુ મનોજે કહ્યું કે તારી સાથે લગ્ન એટલા માટે કર્યા હતા કે મારી પત્નીને સબક શીખવાડવાનો હતો, હવે ક્યારેય તે સુરત આવશે નહીં, એટલું જ નહીં મનોજે મમતાને કહ્યું કે તું દિલ્હી રહેવા આવી જા. બાદમાં મમતા ક્યાયની રહી ન હતી. આથી હવે મમતાએ મનોજ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.