Mysamachar.in-જામનગર
વર્તમાન સમયમાં કોરોના વાયરસ અટકાવવા માટે લાદવામાં લોકડાઉન દરમિયાન શહેરના કેટલાક સેવાભાવી લોકો ભોજનફ્રૂટ પેકેટ જેવી સેવાઓના બહાના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં અવિરત ફરતા રહેતા હોય જેના કારણે લોકડાઉનનું મહત્વ રહેતું નથી, જેથી લોકડાઉનના સમય દરમિયાન લોકોને રાહતસામગ્રી આપવા માટે મંજૂરી લેવી ફરજિયાત છે, તેવી ચેતવણી જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે આપી છે, અને સાથો-સાથ ચેતવણી પણ દર્શાવી છે કે જો મંજૂરી વગર આવી રાહત-સામગ્રી પહોંચાડવાની કામગીરી કરશે તો તેવા વ્યક્તિ સામે કડક કાર્યવાહીની સાથે એફ.આઇ.આર નોંધવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું,
જામનગરના શહેરીજનોએ જનતા કરફ્યુને સફળ બનાવ્યા બાદ વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસના જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન જામનગર શહેરના લોકો એમાંય ખાસ કરીને સેવાકાર્યોના બહાના હેઠળ વિવિધ વિસ્તારોમાં બિન્દાસ ભ્રમણ કરતા હોવાની અને તેના કારણે વધુ લોકોની ભીડ એકઠી થતી હોવાની ફરિયાદો અવિરત તંત્ર સુધી પહોચતા આજે તંત્રએ આ મામલે સખ્તાઈ દર્શાવી છે, અને જો મંજુરી વિના કોઈપણ રાહતસામગ્રીનું વિતરણ કરશે તો તેના માટે મુશ્કેલભર્યું બની શકે છે,
સેવાકીય કાર્યોથી સંદેહ ના હોય પણ તેના કારણે એકઠા થતા લોકોને કારણે વાયરસ વધુ ઝડપથી ફેલાઈ શકવાની બાબતોને જોતા વર્તમાન સંજોગોમાં ખૂબ જ ગંભીર ગણાવી શકાય જેથી આવી સેવાકીય પ્રવૃત્તિ તાકીદની અસરથી અટકવવી જોઈએ એ જરૂરી છે, શહેરમાં સેવાભાવીઓ દ્વારા સેવાકાર્યોનો ધોધ વહેતો થયો છે તે ખૂબ જ સારી બાબત ગણાય પરંતુ આ સેવાકાર્યના નેજા હેઠળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનો સરેઆમ ભંગ થતો હોય જેથી સલામતી અને સાવધાની રહેતી ન હોય જેથી આ વાયરસ ને અટકાવવો મુશ્કેલ બની રહ્યો હોવાની વાસ્તવિકતા પ્રકાશમાં આવવા પામી છે, જેથી જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા લોકડાઉનના સમય દરમિયાન લોકોએ ઘરમાં રહી તેનું પાલન કરવું અને સેવાકાર્ય કરતા લોકોએ તેમના દ્વારા રાહતસામગ્રી આપવા માટે મંજૂરી લેવાની રહેશે તેમ તેવોએ જણાવ્યું હતું,
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે શહેર ની વિવિધ સંસ્થાઓ યુવક મંડળ અલગ-અલગ સેવા કાર્યો કરતા લોકો દ્વારા વિવિધ પ્રકારની રાહત સામગ્રીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને આ રાહત સામગ્રીઓ ગરીબો તેમજ જરૂરિયાત પણ લોકોને પહોંચાડવાની હોય જેથી આવી કોઇ પ્રકારની રાહતસામગ્રી મંજૂરી વગર આપવી નહીં તેમજ જો કોઈ પણ વ્યક્તિ મંજૂરી વગર રાહતસામગ્રી આપવાની કાર્યવાહી કરશે તો તેની સામે એફઆઇઆર નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તેઓએ દર્શાવી છે.