Mysamachar.in-જામનગર:
સરકારે મોટાઉપાડે આત્મનિર્ભર યોજના માટેની જાહેરાત તો કરી દીધી પરંતુ જામનગરની જે બેન્કોમાં આ યોજના માટેના ફોર્મ મળવાના છે, તે પણ નથી મળતા…એટલે કે આત્મનિર્ભર થવા માટેની યોજનના ફોર્મ મેળવવા પણ મુશ્કેલ બન્યું છે, બેંક મેનેજર થી માંડીને જીલ્લા રજીસ્ટ્રાર સુધીના અધિકારીઓ કહે છે કે આ અંગેની જરૂરી પ્રક્રિયાઓ ચાલી રહી છે, પણ અરજદારો કહે છે અમારો શું વાંક..?
લોકડાઉન બાદ લોકોની સહાનુભુતિ જીતવા માટે સરકાર દ્વારા નાના વેપારીઓ, રીક્ષાચાલકો, ફેરિયા જેવા ખુબ નાના વર્ગના લોકો માટે આત્મનીર્ભર યોજના હેઠળ 25000 થી માંડીને 1 લાખ સુધીની લોનની જાહેરાત જે-તે જીલ્લાની સહકારી અને નાગરિક બેન્કોમાંથી મળશે તેવી જાહેરાત કરી દીધી પણ જામનગરમાં તો આ યોજના માટેના ફોર્મ જ નથી મળતા… કારણ કે મામલો અટવાયેલો પડ્યો છે.જામનગર ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્કના ઇન્ચાર્જ મેનેજેર વિનોદભાઈ તરસાની કહ્યું કે આ અંગે રાજ્ય સહકારી બેન્કને આ અંગેના સૂચનો મોકલાવેલ છે, જે સૂચનોનું નિરાકરણ અમારી બેન્કને મળશે તે બાદ બેન્કના વહીવટકર્તાઓ તે અંગેનો આગલો નિર્ણય લેશે, રહી વાત ફોર્મ માટેની તો તેના માટે તેવોએ કહ્યું કે ફોર્મનો નમુનો અમે તૈયાર રાખ્યો છે, પણ અમારું બોર્ડ અમને જ્યાં સુધી ના કહે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના થાય…
જીલ્લા રજીસ્ટ્રાર એમ.એસ.લોખંડેએ “માયસમાચાર”ને કહ્યું કે આત્મનિર્ભર યોજના માટે જામનગરમાં કુલ પાંચ બેંકો આવેલ છે,જેમાંથી ફોર્મ મેળવી અને લોન મેળવી શકાય.., જે બેન્કોમાં જામનગર ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક, ધી નવાનગર કો બેંક, જે.પી.બેંક , કોમર્શીયલ કો ઓપરેટીવ બેંક અને મહિલા સહકારી બેંકનો સમાવેશ થાય છે.તેવોએ કહ્યું કે લાભાર્થીની રીપેઈંગ મર્યાદા જોઈ અને તેને 25000 થી માંડીને 1 લાખ સુધીની લોન આપી શકાય, જેમાં લાભાર્થીએ માત્ર 2% વ્યાજ જયારે 6% વ્યાજ સહાય તરીકે સરકાર સહાય આપશે, નાગરિક કો ઓપરેટીવ બેન્કના કિસ્સાઓમાં બધી જ બેંકો સહમત છે, પણ ફેડરેશનમાં થી સુચના યુનીફાઈડ ફોર્મ છપાવવાના હોવાથી 1 જુનથી ચાલુ થશે, અને ડીસ્ટ્રીક બેંકમાં 26 મેં બાદ ફોર્મ વિતરણ શરુ કરવાના છે તેવી મારે વાત થઇ છે તેમ જીલ્લા રજીસ્ટ્રારએ કહ્યું…
આમ સરકારે તો મોટાઉપાડે જાહેરાત કરી દીધી પણ જામનગરમાં તો યોજના માટે બેંકો જાણે અજાણ હોય તેવી સ્થિતિ લાગે છે, જયારે જામનગર ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ખાતે ત્યાં ફોર્મ લેવા અરજદારે દિનેશ મહેતાએ પોતાની હૈયાવરાળ ઠાલવી અને કહ્યું કે છ માસ જેટલા સમયગાળામાં આ પૈસા હાથમાં આવે તો શું કામનું.? આ તો માત્ર ફોર્મ લેવા આવનાર એક નાના વેપારીએ પોતાની હૈયાવરાળ ઠાલવી દીધી પણ આવા તો કેટલાય લોકો જામનગર શહેર અને જીલ્લામાં હશે જેને સહાય જોઈતી હશે પણ સરકારની જાહેરાત ને દિવસો નીકળી ગયા સુધી બેંક સુધી સરકારનો સંદેશો ના પહોચ્યો જ્યાં ફોર્મના ઠેકાણા ના હોય આત્મનિર્ભર લોનની વાત તો કોસો દુર છે.
-નાગરિકો ચિંતા ના કરે ફોર્મ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે:જીલ્લા રજીસ્ટ્રાર
આ મામલે કેટલાક લાભાર્થીઓની ધરપત થાય તે માટે જામનગર જીલ્લા રજીસ્ટ્રાર લોખંડે એ કહ્યું હતું કે જે લાભાર્થીઓ જેને આત્મનીર્ભર યોજનામાં થી લોન મેળવવી છે, તેવા લાભાર્થીઓએ ખોટી ચિતા કરવી નહિ આ પ્રક્રિયા એકાદ બે દિવસની નથી, 31 ઓગસ્ટ સુધી ફોર્મ ભરીને આ લોન મેળવી શકાશે.