Mysamachar.in-જામનગરઃ
ખેડૂતો જેના સહારે હોય છે એવો વરસાદ આ વર્ષે જાણે કે સૌથી મોટી કુદરતી આફત બની રહ્યો છે. ચોમાસું વીતી ગયું અને શિયાળો પણ ચાલુ થઇ ગયો પરંતુ કમોસી વરસાદે ખેડૂતોની ચિંતામાં સતત વધારો કર્યો છે. ફરી એકવાર હવામાન વિભાગે આગામી 13 તારીખે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે રાજસ્થાનના ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ખાસ કરીને જામનગર, દ્વારકા સહિત ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયુ વાતાવરણ રહશે. તો બનાસકાંઠા, કચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર વાતાવરમાં પલટો આવી રહ્યો છે, અને પવનની દિશા પણ બદલાય રહી છે. 24 કલાક પહેલા ઉતર પશ્ચિમના પવન ફુકાયા હતા જેના કારણે ઠંડીનુ જોર વધ્યુ હતુ પરંતુ ફરી ઉતરપૂર્વના પવનો ફુકાતા લઘુતમ તાપમાનમાં વધારો થયો. જામનગરમાં શનિવારની ઠંડીની વાત કરીએ તો લઘુતમ તાપમાન 12.5 રહ્યું છે, જે ગઇકાલે 10 ડિગ્રી હતું. તો મહત્તમ 23.5 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય ભેજનું પ્રમાણ 71 ટકા જ્યારે પવનની ગતિ 9.1 નોંધાઇ છે. સવારથી જ પ્રતિ કલાકે 10થી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા બર્ફિલા પવનના કારણે શરીરના અંગો ઝકડાય તેવી દિવસભર કાતિલ ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક ઉતાર ચડાવ જોવા મળી શકે છે.