Mysamacahr.in-ગાંધીનગર:
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીનો રંગ હવે જામ્યો છે. રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકોમાંથી ભાજપે ત્રણ ઉમેદવાર મેદાનમાં ઉતારતાં જ ગુજરાતના રાજકરણમાં રસાકસી આવી ગઈ છે. આજે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપનાં અભયભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરી અમીને ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવારોનાં ફોર્મ ભરતી વેળાએ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવારી ફોર્મ ભર્યાં બાદ સીએમ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. અને મધ્યપ્રદેશ જેવી હાલત કોંગ્રેસની થઈ ગઈ છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો ઉપર ભરોસો નથી. રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારો સરળતાથી અને સારી જીતશે તેવો આશાવાદ સીએમ રૂપાણીએ સેવ્યો હતો. સાથે તેઓએ કહ્યું હતું કે, અમારી પાસે પૂરતું સંખ્યાબળ છે અને ચારેય તરફથી કોંગ્રેસ તૂટી રહી છે. અને અમને તમામ 182 ધારાસભ્યોનો સાથ મળશે તેવી વાત પણ તેવોએ કરી.