Mysamachar.in-ગાંધીનગરઃ
અમદાવાદના ચાંદખેડામાં રહેતા બે સગા ભાઇના માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૃતક બંને ભાઇઓના બહેન-બનેવીએ રાજસ્થાનમાં એક હોટેલમાં આપઘાત કરી લીધો હતો, જેની જાણ તેમના સંતાનોને કરવા બંને ભાઇઓ મોડાસા જવા નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઇક બીજું જ મંજુર હોય તેમ દેહગામ નરોડા રોડ પર કાર સાથે ડમ્પર અથડાતા બંને ભાઇઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. દહેગામ નરોડા રોડ પર વડોદરા પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. શૈલેષભાઇ શાહ, ચાંદખેડાનાં બે ભાઇ પરાગ મોદી અને મેહુલ મોદી એમ ત્રણ લોકો કારમાં મોડાસા જવા નીકળ્યા હતાં. આ સમયે તેમની કારનો ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંન્ને ભાઇ પરાગ અને મેહુલ મોદીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે શૈલેષભાઇની હાલત ગંભીર હોવાને કારણે તેમને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે.
કાળ બનીને આવેલા ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો છે, તો મોટી સંખ્યામાં લોકો અને પોલીસ સ્ટાફ દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે પરાગ અને મેહુલ મોદી તેમની બહેન દામિની અને બનેવી નૈનેશ શાહનાં મોતની જાણ તેમના ભાણેજોને કરવા માટે મોડાસા જઇ રહ્યાં હતાં. ત્યારે તેમની કારને પણ અકસ્માત નડ્યો હતો. એક જ સપ્તાહમાં એક જ પરિવારનાં ચાર લોકોનાં મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે મૃતક મેહુલ અને પરાગના બહેન-બનેવી કે જેઓ મોડાસામાં મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે, તેઓએ બે સંતાનો સાથે રાજસ્થાનનાં ઉદેપુરમાં જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવમાં દામિની અને નૈનેશ શાહનું મોત થયું હતું. જ્યારે બે સંતાનો ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડાયા હતા. બંન્નેની સ્થિતિ હાલ સ્થિર છે.