Mysamachar.in-રાજકોટઃ
આજથી 200 વર્ષ પહેલા એટલે કે 17/1/1820ના રોજ રાજકોટ નજીક આવેલા વીરપુર ખાતે સંત જલારામ બાપાએ અન્નક્ષેત્ર સદાવ્રતનો પ્રારંભ કરાવ્યો હતો, આ વાતને આગામી 17 તારીખે 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ તરફથી રમેશ વી દતાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. જેમાં આ દિવસને સૌરાષ્ટ્ર ગૌરવ દિવસ જાહેર કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે સૌરાષ્ટ્રનું વીરપુર ગામ સંત શિરોમણી જલારામબાપાના નામથી વિશ્વભરમાં વિખ્યાત બન્યું છે, ખાસ કરીને અન્નદાનનો પ્રચાર પ્રસાર વીરપુર ગામે આવેલા જલારામ મંદિરે ચાલતા અન્નક્ષેત્રનો વધુ થયો છે તેવું મારું માનવું છે. વધુમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે આદરણીય જલારામબાપાએ 200 વર્ષ પહેલા 17/01/1820ના રોજ વીરપુર ખાતે અન્નક્ષેત્ર સદાવ્રતનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઐતિહાસિક ઘટનાને 200 વર્ષ પુરા થઇ રહ્યાં છે, તેથી આ પાવન દિવસે એક જલારામ ભક્ત તરીકે મારી આપને વિનંતી છે કે આપની સંવેદનશીલ સરકાર 17મી જાન્યુઆરીના દિવસને સૌરાષ્ટ્ર ગૌરવ દિવસ જાહેર કરી દર વર્ષે જલારામ બાપાના ધ્યેયને ચરિતાર્થ કરતી યોજના જાહેર કરી જલારામ બાપાના આશિર્વાદ મેળવે.