Mysamachar.in-ગાંધીનગરઃ
જો તમે ગાંધીનગર ખાતે કોઇ સરકારી કામ પતાવવા માટે જવાના હોવ તો એક વખત તપાસ કરાવી લેજો, કારણ કે આવતીકાલે એટલે કે ગુરુવારે સ્વર્ણિમ સંકુલમાં મોટાભાગના ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી જોવા મળી શકે છે. આવતીકાલ ગુરુવારથી 1 ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાંથી કુપોષણ દૂર કરવા માટે ગુજરાત પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી રાજ્યનું પ્રધાન મંડળ, બોર્ડ નિગમના ચેરમેન, IPS, IAS અને IFSના ઉચ્ચ અધિકારીઓને કેટલાક જિલ્લા ફાળવવામાં આવ્યા છે, જ્યાં તેઓ પહોંચી કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકોને માહિતગાર કરશે. નોંધનીય છે કે સતત ત્રણ દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં એક હજારથી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ ગુજરાત રાજ્ય બાળ મહિલા કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવશે. જેમાં બાળકોની તંદુરસ્ત સ્પર્ધાથી માંડીને અનેક વિધ કાર્યક્રમો યોજાશે. આ અભિયાન અંગે કેવી કેવી કામગીરી થઇ રહી છે તેનું નિરીક્ષણ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના નિવાસસ્થાને બનાવેલા સીએમ ડેશ બોર્ડ પરથી કરશે.