Mysamachar.in-જામનગર
દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા લોકોને ભોગવવી પડતી હાલાકી અને વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ વિવિધ પ્રકારની યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે, જેથી દરેક નાગરિકને આગામી દિવસોમાં રોજિંદી આવક થાય નહીં કેટલા સમય માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ જામનગરની કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વર્તમાન સમયમાં જ છ મહિનાની ફી ની રકમ ભરપાઈ કરી દેવા વાલીઓને મેસેજ અને ફોન કરવામાં આવ્યા હોવાની સનસનીખેજ બાબત પ્રકાશમાં આવવા પામી છે, ખાનગી શાળાઓના આ આદેશના પગલે વાલીઓ ભારે વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે,
શાળા સંચાલકોના ફી અંગેના મેસેજના પગલે વાલીઓમાં ઉગ્ર રોષ પ્રસરી જવા પામ્યો છે, કેમ કે lockdownના 43 દિવસથી ઘરમાં રહેલા વાલીઓને કસી આવક નહીં હોવાથી આ વાલીઓ એકસાથે છ મહિનાની ફી કઈ રીતે ભરપાઈ કરી શકે તેઓ પેચીદો પ્રશ્ન વાલીઓમાં ઉઠ્યો છે, આ અંગે જાગૃત વાલીઓ દ્વારા ફી વસુલાત અંગેના સંદેશાઓની જાણ લગત અધિકારીઓને કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ એક યા બીજા કારણોસર વાલીઓની આ વેદના કચરા ટોપલીમાં ઠાલવી દઈ અને ખાનગી શાળાઓની તરફેણ હમેશની જેમ કરતુ રહે છે.
-શું કહે છે જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા
પડ્યા પર પાટું કહેવતને સમર્થન આપતા ખાનગી શાળાઓના સંચાલકોની મનમાની અંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ ત્રણ માસ સુધીની ફી એકીસાથે ઉઘરાવી શકે છે, છ મહિનાની ફી એકી સાથે વસૂલી શકે નહીં જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આ નિયમોના વિરુદ્ધ જઈ ફી વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તે બાબત જગજાહેર છે.
-વાલીઓમાં પણ જાગૃતતાનો અભાવ
સહન કરવાની ટેવ પડી ગઈ હોય જેથી અમુક વાલીઓને બાદ કરતા મોટાભાગના વાલીઓ એવા છે કે જે શાળા સામે અવાજ ઉઠાવી શકતા નથી, ખરેખર શાળા નિયમમુંજબ ના વર્તે ત્યારે સ્થાનિકકક્ષાએ જીલ્લા શિક્ષણઅધિકારી, કલેકટર અને રાજ્યકક્ષાએ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત પહોચાડી શકાય