Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી તો જરૂર પ્રવર્તિ હશે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને એવી એવી કામગીરી સોંપવામાં આવે છે જેનાથી ભારે ચર્ચા જાગી છે, થોડા સમય પહેલા જ તીડ ભગાડવાની કામગીરી શિક્ષકોને સોંપાઇ હતી, તો ભોજનનો બગાડ ન થાય તેની જવાબદારી પણ શિક્ષકોને સોંપાઇ હતી, હવે શિક્ષકોએ ઘરે ઘરે જઇને બાળકોની સાથે 15થી માંડી 55 વર્ષ સુધીની ઉંમર ધરાવતી વ્યક્તિના શિક્ષણ અંગેની પણ માહિતી એકઠી કરવાની સૂચના અપાઇ છે. શિક્ષકોનું તો કામ છે લોકોને શિક્ષિત કરવા પરંતુ જો શિક્ષકો સર્વેની કામગીરીમાં રોકાશે તો શૈક્ષણિક કાર્યને કોઇ અસર નહીં પડે ?
આવનારાં વર્ષોમાં મહિલા સાક્ષરતા દર વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા માટે ખાસ અભિયાન ચલાવાશે. આ માટે સરકારે મિશન સાક્ષર ગુજરાત- 2030 અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોને પોતાના વિસ્તારમાંથી 5 વર્ષ સુધીનાં બાળકોનો સરવે કરવાની સૂચના આપી હતી. પરંતુ હવે શિક્ષકોએ ઘેર ઘેર જઇને બાળકોની સાથે 15થી માંડી 55 વર્ષ સુધીની ઉંમર ધરાવતી વ્યક્તિના શિક્ષણ અંગેની પણ માહિતી એકઠી કરવાની સૂચના અપાઇ છે. આ વયજૂથમાં ગામમાં કે શહેરી વિસ્તારમાં કેટલા નિરક્ષર છે તેની માહિતી પણ શિક્ષકોએ શિક્ષણ વિભાગને આપવી પડશે. એટલે કે હવે શિક્ષકો અભ્યાસ કરવાને લાયક બાળકોની સંખ્યાની સાથે નિરક્ષર હોય તેવા 15થી 55 વર્ષ સુધીના લોકોનો ડેટા પણ એકઠો કરશે.
પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર શિક્ષકોએ સરવે માટે કોઇ અલગથી કોઇ સમય આપવાનો નથી. જ્યારે પણ શિક્ષકો પ્રવેશોત્સવ માટેનો સરવે કરવા માટે જશે ત્યારે જ તેમણે 15થી 55 વર્ષના લોકોનો શિક્ષણ સંબંધિત સરવે કરવાનો છે. જ્યારે અમારી પાસે તમામ ડેટા આવશે તો આ વર્ષે જ અમે પ્રૌઢ શિક્ષણને લઇ ખાસ અભિયાન ચલાવીશું. જેથી તેમનું શિક્ષણ સ્તર સુધરે. પરિપત્રમાં દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને સૂચના અપાઇ છે કે, જ્યારે પણ શિક્ષકો પ્રવેશોત્સવ માટે ઘેર ઘેર સરવે કરવા માટે જાયે ત્યારે તેમણે 5 વર્ષ સુધીના બાળકોની સાથે 15થી 55 વર્ષ સુધીના ઘરના દરેક સભ્યોની શિક્ષણને લગતી તમામ માહિતી પણ નક્કી કરેલા ફોર્મમાં ભરવાની રહેશે. ફોર્મમાં વ્યક્તિનું નામ, જાતિ, ઉંમર, નોકરી કે ધંધો, લઘુમતી અંગેની માહિતી, દિવ્યાંગ છે કે નહીં?, કુટુંબ ગરીબી રેખાની નીચે છે કે નહીં? જેવી માહિતી શિક્ષકોએ એકઠી કરવી પડશે. આગામી પ્રવેશોત્સવથી આ કામગીરી કરવાની છે. પરંતુ મ્યુનિ. સંચાલિત સ્કૂલોના શિક્ષકોએ હાલમાં જે સરવે ચાલી રહ્યો છે તેમાં જ આ કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.