Mysamachar.in-જામનગરઃ
જામનગર લોકસભા ક્ષેત્રમાં સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને ફરી શરૂ કરવા કેન્દ્ર સરકાર પ્રયત્ન કરે તેવી માગ સાંસદસભ્ય પૂનમ માડમે કરી હતી. આ માટે સાંસદ પૂનમ માડમે પોતાના વક્તવ્યમાં મંત્રી મનસુખ માંડવિયાને ભલામણ કરી હતી. બાદમાં કેન્દ્ર સરકારે ભલામણને ગંભીરતાથી લઇને શીપ રિસાયક્લિંગ બીલ અંગે સકારાત્મક પ્રત્યુતર આપવામાં આવ્યો છે. આ અંગે સાંસદ પૂનમ માડમે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શીપબ્રેકીંગ યાર્ડના માધ્યમથી જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના નાગરિકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને અર્થતંત્રને વેગ મળશે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સાંસદ પૂનમબેન માડમે ખેડૂતોને વીમા કંપનીઓ તરફથી થતી કનડગત મુદ્દે સંસદમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને વીમાની રકમ ચૂકવવામાં આંખઆડા કાન કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. ત્યારે ફરી એકવાર જામનગર અને દ્વારકા જિલ્લાના લોકો માટે સાંસદે કરેલી ધારદાર રજૂઆતથી કેન્દ્ર સરકારે સકારાત્મક અભિગમ દાખવ્યો છે.