Mysamachar.in-જામનગર:
સમગ્ર જિલ્લાના વિકાસ કામો અને પ્રશ્ર્નોના ઉકેલ માટે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓ હાજર રહેવાને બદલે ઘેરહાજર રહેતાં હોય જિલ્લા કલેક્ટર દ્વારા તમામ કચેરીઓના વડાને પૂર્વ મંજૂરી વગર બેઠકમાં ગેરહાજર રહેવા તાકિદ કરવામાં આવી છે.નોંધનીય છે કે,સંકલન સમિતિની દરેક બેઠકમાં આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવે છે.પરંતુ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ એ કહેવત મુજબ મોટાંભાગના આદેશોનો ઉલાળિયો કરાતો હોવાનું પણ બહાર આવ્યું છે.
સમગ્ર જિલ્લાના મહત્વના પ્રશ્નોના ઉકેલ દરેક સરકારી વિભાગોની એકીસાથેની મીટીંગમાં થઇ જાય એ માટે જરૂરી સંકલન રહે માટે દર મહિને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ત્રીજા શનિવારે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક મળે છે.જિલ્લાના જુદા જુદા ત્રીસ જેટલાં સરકારી વિભાગોના વડાઓએ આ મિટીંગમાં હાજર રહેવાનું હોય છે,અને જરૂર પડયે પ્રજાપ્રતિનિધિઓની રજૂઆતોના તાત્કાલિક નિકાલ, તે અંગેના સંતોષકારક પ્રત્યુત્તર પાઠવવા વગેરે કાર્યવાહી આ બેઠકમાં કરવાની હોય છે.જે અંગે મિટીંગના એજન્ડા,પ્રશ્નો વગેરે લગત કચેરીઓને સમયસર મોકલવમા આવતા હોય છે,
એક તો મોટા ભાગે કચેરીઓના વડા આ મીટીગમાં દર વખતે નિયમીત હાજર રહેતા નથી ઘણી વખત એવુ પણ બને છે કે કલેકટરે લગત કર્મચારીને ફરજ પાડી તેના અધિકારીને તાત્કાલીક બોલાવવા ફરજ પાડવામાં આવે છે.માટે જિલ્લા કલેકટરે તાકીદ કરી છે કે આ મીટીંગમાં કચેરીના વડાએ ફરજીયાત હાજર રહેવું અને જરૂરી માહીતીઓના પત્રકો સમયસર મોકલવા તથા પૂર્વ મજુરી વગર ગેરહાજર જ ના રહેવું.
તે ઉપરાંત માહીતીના પત્રકો અધુરા હોય,પ્રશ્નનના સંદર્ભમાં સ્પષ્ટ ઉતર ન હોય તેમજ અમુક જવાબ કે માહીતી છુપાવી રાખવા પ્રયાસ કયારેક અમુક કચેરીઓ કરે છે,માટે આ તમામ બાબતે ચોકકસાઇ રાખવા તાકીદ કરાતી જ હોય છે. જો કે આ તાકીદને રૂટીન ગણાય છે.
જોકે વારંવાર તાકીદ કરવા છતાં ગતીશીલ ગુજરાતની કરૂણતા એ છે કે કલેકટરે ટોચ અગ્રતા આપવા જણાવ્યું હોય તેવા ગૌચર જમીન દબાણ અંગે માપણીની ડીઆઇએલઆરને અપાયેલી સુચનાનો સરકારી લેણાઓની વસુલાતો ઝડપી કરવા,નાગરીકોની અરજીઓના તાત્કાલીક નિકાલ કરવા સહીતની સુચનાનો મીટીંગમાં ત્યારબાદ મીનીટસ દ્વારા લેખીત અપાયા બાદ પણ અમુક વિભાગો તો હમ નહીં સુધરેંગે મોડમાં જ રહે છે,
કચેરીઓના વડાઓ મીટીંગમાં હાજર ના રહી જાય છે કયાં?
અગાઉ સંકલન મીટીંગમાં ગેરહાજર રહેનાર અધિકારીઓના નામો મીનીટસની શરૂઆતમાં લખાતા હમણાથી લખાતા નથી ત્યારે પ્રશ્ન એ છે કે સ્ટાફમાંથી ગમે તેને ધકેલી કચેરીના વડા જાય છે કયાં? એક તો કલેકટરની કંઇ સુચના સાંભળવી ન પડે, ઠપકો રૂબરૂ ન સાંભળવો પડે માટે ગાપચી મારે છે. જો કે અમુક કિસ્સામાં કોર્ટ મુદત, તેઓના વિભાગની મીટીંગ કે તાત્કાલિક ડીસ્ટ્રીકટ વીઝીટના કારણો હોય છે. પરંતુ મોટા ભાગના ગંભીરતા દાખવતા નથી.