Mysamachar.in-જામનગર:
શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા લોહાણા જ્ઞાતિના વીસમાં સમૂહ ભોજન (નાત)ની તડામાર તૈયારીઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને રમેશભાઈ દતાણીની દેખરેખ હેઠળ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે, કારતક સુદ-સાતમને રવિવારના રોજ પૂજ્ય જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતિને દિવસને ભવ્ય ધૂમધામ સાથે રઘુવંશી સમાજ દ્વારા જામનગરમાં વર્ષોથી ઉજવવામાં આવે છે, અને સમૂહભોજન સહિતના કાર્યક્રમો નું આયોજન સમિતિ દ્વારા દરવર્ષ કરવામા આવતું હોય છે,
જલારામજયંતીના ઉપલક્ષ્યમા સમિતિ દ્વારા આ વર્ષ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલ શનિવારના રોજ સાંજે ૫:૩૦ થી ૯:૩૦ સુધી રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો માટે રાસગરબા સ્પર્ધાનું આયોજન, રવિવારે સવારે ૭:૩૦ કલાકે મહોત્સવ સમિતિના ભાઈઓ બહેનો દ્વારા પાંજરાપોળ ખાતે ગૌમાતાને ઘાસ વિતરણ અને રવિવારે સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (નાત) સહિતના તમામ આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ સાતરસ્તા રોડ જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યા છે,
સમૂહ ભોજનના દિવસે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું પણ સ્થળ પર આયોજન કરવામા આવ્યું છે, રવિવારે બપોરે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સમૂહભોજન બાદ સાંજે ૭:૦૦ કલાકે જલારામમંદિર હાપા અને સાધનાકોલોની ખાતે પણ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સમૂહભોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના માટે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, અનિલગોકાણી, હર્ષિત પોપટ, ભરત કાનાબાર, રાજુ કોટેચા, રાજુ હિન્ડોચા, ભરત મોદી, નીલેશ ઠકરાર, રાજુ મારફતિયા, મનીષ તન્ના, મધુ પાબારી સહિતની ટીમના સભ્યો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે.