Mysamachar.in-ગાંધીનગર:
ગાંધીના ગુજરાતમાં દારૂ પર પાબંધી છે, તે બાબત સર્વવિદિત છે, છતાં પણ બહારના રાજ્યોમાંથી વર્ષે કરોડોની કિમતનો દારુ ગુજરાત રાજ્યમાં ઘુસી જાય છે, દારુ ઉપરાંત અન્ય નશીલા પદાર્થો હથિયારો વગેરેની હેરફેર વગેરે બાબતો અનેકવાર સામે આવી ચુકી છે, પણ હવે આવા ગુન્હાઓને વેગ મળે તો નવાઈ એટલા માટે નહિ કારણ કે રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ આપાયા છે. રાજ્ય પોલીસ વડાએ તાત્કાલિક અસરથી તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ આપ્યો છે. જે માટે તમામ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને પણ સૂચનાઓ પણ આપી દેવાઈ છે. આ આદેશ ને કારણે અંદાજે ૨૦૦ જેટલી ચેકપોસ્ટ બંધ થઇ જશે. તો જે ચેકપોસ્ટ બંધ થશે ત્યાંના પોલીસકર્મીઓને કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં ફરજ બજાવશે.
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતર જિલ્લા પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ કર્યો છે, આ નિર્ણયની અમલવારી કરાતા રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વાહનચેકિંગ સહિતનાં પોઇન્ટ હટાવી લેવામાં આવશે. આ નિર્ણયને કારણે આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ થઇ જશે તો અન્ય રાજ્યોમાંથી થતી ગેરકાયદેસર હેરાફેરી, દારૂની હેરાફેરી પર અંકુશ રાખવાનું મુશ્કેલ બની શકે તેવા સવાલો પણ ઉભા થશે, રાજ્યમાં આંતર જિલ્લા વચ્ચે અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે. આ નિર્ણયથી સામાન્ય જનમાનસ પર તો અનેક સવાલો ઉભા થયા છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની દારૂની હેરાફેરી કરનારાને કઇ રીતે ઓળખીને અંકુશમાં રાખી શકાશે.