Mysamachar.in-જામનગર:
ગુજરાત આયુર્વેદ હોસ્પિટલના ફાર્મસી વિભાગ ખાતે આયુષ વિભાગની ગાઇડ લાઇન મુજબ કોવિડ-19ની મહામારીથી બચવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી ઉપયોગમાં લેવાતી શમશમનીવટી, પથ્યાદી કવાથ,ગુજરાત આયુર્વેદ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવે છે, આજરોજ રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા તે સ્થળની મુલાકાત લેવામાં આવેલ હતી. આયુર્વેદ ઉપચાર પદ્ધતિએ ભારતીય સૌથી જૂની પદ્ધતિ છે. હાલ કોરોનાની મહામારીમાં આયુર્વેદ અને સાથે જ અમુક ઘરગથ્થુ ઉપચારો જેવા કે હળદરવાળા દૂધનું સેવન, સૂંઠનો પ્રયોગ ઘણી હદે આપણને કોરોના મહામારીથી બચાવે છે.
આ જ આયુર્વેદ પદ્ધતિ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા આપણા શહેરમાં કાર્યરત આયુર્વેદિક યુનિવર્સિટીનો ફાર્મસી વિભાગ દવાઓ બનાવે છે તેમ જણાવતાં સાંસદ પૂનમબેન માડમે કહ્યું કે, લોકો વધુને વધુ આયુર્વેદનો ઉપયોગ કરે જેનાથી કોરોના મહામારીથી બચવા લોકો સક્ષમ થશે.સાંસદ પૂનમબેન માડમે ઉમેર્યું કે,આ ઉપચારો જામનગરના લોકો સમક્ષ મુકવા આયુર્વેદાચાર્યો પહેલ કરે આયુર્વેદના માધ્યમથી આ રોગ સામે તંદુરસ્ત રહી આ ઔષધિઓનો ઉપયોગ કરી તથા સૌ નાગરિકો ઘરમાં રહે, સ્વસ્થ રહે અને સુરક્ષીત રહે તેવો સાંસદ પૂનમબેન માડમે અનુરોધ કર્યો હતો.