Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાને હાલ તો સરકારમાંથી કંઇ ગ્રહણ લાગ્યુ હોય તેમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ખાસ કંઇ નોંધપાત્ર અને નિયમિત ગ્રાન્ટ આવતી જ નથી થોડી વાછટ જ આવે છે,નહી તો અત્યાર સુધીની ભલે થોડી તો થોડી પરંતુ નગરજનોની પાયાની સુવિધાના 280 જેટલા નાના મોટા કામ રૂપિયા 250 કરોડના ખર્ચે થયા છે.આ સરવાણી હાલ બંધ જેવી છે,
૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થઇ અને ૨૦૧૦ માં ૫૦ વર્ષ પુરા થયા ત્યારે ગુજરાત સરકાર સુવર્ણ જયંતિ ઉજવતુ હોય મહાનગરપાલિકાઓ, અને નગરપાલિકાઓના વિસ્તારોમાં આ યોજના હેઠળ રસ્તા, બ્રીજ, પાણીને લગત, ગટરને લગત, સ્લમ વિસ્તારને લગત, લાઇટને લગત વગેરે કામો માટે અલગ-અલગ ગ્રાંટ ફાળવવાની શરૂઆત ત્યારથી થઇ છે,અને તેના કારણે અનેક કામો ૨૦૧૭ સુધી થયા (ભલે તેમાંથી અમુક તો કરવા પુરતા કર્યા હોય પુરેપુરા આયોજન મુજબ નહી પરંતુ અધુરા કરી પુરામાં ખપાવ્યા હોય, ગુણવતા સાથે બાંધછોડ કરી હોય, ગ્રાન્ટ લોસ ન જાય તે માટે જરૂરી પ્રક્રિયાઓ પુરેપુરી ન કરી ઉતાવળમાં કામો આપી દીધા હોય તેમ છતાં) થયા છે. જો કે હાલ આ ગ્રાંટમા ઓટ આવી હોય તેવું સુત્રો જણાવે છે,અને ગ્રાન્ટની સરવાણીઓ ઓછી થઇ ગઇ છે,પુરતી નથી આવતી તેવું પણ જાણવા મળે છે,
-સ્વર્ણીમ જયંતિમાં સરવાણી અટકતા અનેક ‘લાભાર્થી’ ‘લાચાર’
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસની સરવાણી સાત વર્ષ સુધી નિયમીત ગ્રાંટના સ્વરૂપમાં આવતી જ રહી ત્યારબાદ હાલ છેલ્લા દોઢ વર્ષથી સરવાણી બંધ જેવી હોઇ અનેક ‘લાભાર્થી’ઓ ‘લાચાર’ થઇ ગયા છે, આ યોજના કેવી વિકાસલક્ષી છે કે અનેક નવી એજન્સીઓ બની ગઇ, ઉભી થઇ ગઇ, અનેકને ‘વાહન સુખ’ મળ્યા, અનેકને મિલકત સુખ મળ્યા, અનેક ને ધન સુખ મળ્યા, અનેકને સંબંધ અને સાગરીતોને સાચવવાની મોકળાશ મળી હતી, તો અનેક લોકો ‘લાભાર્થી’ ઇલેકટ્રોનીકસથી માંડી દરેક ચીજ વસ્તુ મોંઘી વાપરતા થયા છે..