Mysamachar.in-જામનગર:
શહેરમાં LED લાઇટનો કેન્દ્ર સરકારનો પ્રોજેકટ સદયો નહી અને પ્રથમ આ પ્રોજેકટ ઝળહળ્યો અને હવે શું હાલત છે તે સૌ રોજ જુએ છે બરાબર 24 મહીનામાં જ એવો ખેલ પડી ગયો કે કયાંય ના ન રહ્યા અને હવે બધુ જ કોર્પોરેશનના ગળામાં આવી ગયું. આ અંગે અધીકૃત રીતે જાહેર કરાયેલી વિગતો મુજબ જામનગર મહાનગર પાલિકા દ્વારા સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત પીપીપી મોડથી તમામ સ્ટ્રીટ લાઇટો એલઇડી સ્ટ્રીટ લાઇટ વડે રીપ્લેસ કરવાની કામગીરી જુન 2016માં હાથ ધરાઇ હતી. જે અન્વયે ભારત સરકારના અર્બન ડેવલપમેન્ટ મંત્રાલયના ટાઉન પ્લાનીંગ ખાતાના બે ઓફીસરો સુદીપ રોય તેમજ ડી. બ્લેસી બે દિવસ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેમણે શહેરમાં એલઇડી સ્ટ્રીટ લાઇટો તથા સેન્ટ્રલાઇઝડ કંટ્રોલીંગ એન્ડ મોનીટરીંગ સીસ્ટમની સાથે સ્ટ્રીટ લાઇટ કેમેરા સહિતના અન્ય તમામ ફીચર્સની વિગત મેળવી હતી. આ વખતે પ્રેઝન્ટેશન પણ રજુ કરાયુ હતું મહત્વની કોન્ફરન્સ થઇ હતી.
આમ સમગ્ર પ્રોજેકટ દીલ્હી સુધી ગાજ્યો અને એવુ કહેવાયુ કે વિશ્ર્વકક્ષાએ પણ નોંધ લેવાઇ છે એવો આ પ્રથમ મહત્વકાંક્ષી પ્રોજેકટ છે, કાયમી ધોરણનો છે પરંતુ હાલ પરિસ્થિતિએ થઇ છે કે એલઇડીનું સુરસુરીયુ થઇ ગયું છે….આ પ્રોજેકટ વખતે દાવો કરાયો હતો કે શહેરમાં એલઇડી પ્રોજેકટ પહેલા 35થી 40 % સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હતી જેના કારણે નગરજનોને હાલાકી પડતી હતી બીજી તરફ કોર્પોરેશનને ખર્ચના ખાડામાં ઉતરવુ પડે છે, તેના બદલે વીજબીલ બચત અને મેન્ટેનન્સ ખર્ચના બચત સાથે નગરના માર્ગો ઉપર એલઇડી ફીટ કરવાનો નિર્ણય લેવાયો છે, તમામ લાઇટો આ પ્રકારની હશે અને લાઇટ સાથે કેમેરા પણ ફીટ કરવામાં આવશે અને 25 મુખ્ય ચોકમાં ચાર-ચાર કેમેરા લગાવવામાં આવશે જે શહેરની ગતિવીધી જાણવા, એસ્ટેટ, પોલીસ, ટ્રાફીક વિભાગને પણ ઉપયોગી થશે જે અંગે દસ વર્ષ સુધી પ્રતિવર્ષ ફીકસ માસીક રૂપિયા 16,38,832 ઓપરેશન અને મેન્ટેનન્સ પેટે મહાનગર પાલિકા ચુકવશે. આ યોજનાથી 60% વીજબીલની બચત થશે તેમાં લાઇટ શાખા માટે કામ કરતી સ્ટાફ પણ ફ્રી થશે કેમકે બધુ જ ઓટોમેટીક થશે. આવી અનેક મોટી મોટી વાતો થઇ હતી તેની સામે હાલ પરિસ્થિતિ આ દાવા મુજબ નથી અને પરિસ્થિતિ વધુ બગડી ગઇ છે અને વિશ્ર્વકક્ષાએ ઝળહળેલી પ્રોજેકટ અંતે સુરસુરીયામાં પરિણામ્યો છે. તે સૌ જોઇ શકે છે.
-વીજબીલમાં 2.60 કરોડની બચતનો દાવો હતો
એલઇડી લાઇટની વીજબીલમાં રૂપિયા 2 કરોડ 60 લાખની બચત થશે એટલે કે હાલ જે માસીક રૂપિયા સાડા ચાર કરોડ રૂપિયા થાય છે જે માત્ર 1 કરોડ 90 લાખ આવશે એટલુ જ નહી મેન્ટેનન્સ ખર્ચ રૂપિયા દોઢ થી પોણા બે કરોડનું માસીક છે તે માત્ર રૂપિયા 16 લાખ માસીક થઇ જશે. દિવા સ્વપ્ન જેવો આ પ્રોજેકટ જેમાં અનેક આંબા-આંબલી દર્શાવાયા હતા તે પ્રમાણે કશું જ થયું નથી અને નગર ઝળહળા ન થયું અંધારાના ઓળા પથરાયા છે.