Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર હાલાર પંથકમા ખાતર જેવી મહત્વની અને અબજોના ટર્ન ઓવરના ધંધામા લેભાગુઓ કળા કરતા હોવાની ખુદ તંત્રને દહેશત છે, પરંતુ ખુબી એ છે કે ખેડુતોને તકેદારી રાખવાનુ કહી છુટી જતુ તંત્ર પોતે આવી પ્રવૃતિ બે લાખથી વધુ ખેડૂતોના હિતમા ડામી શકતુ નથી, આવુ તારણ નીકળવાનુ જે કારણ છે તે સરકારી યાદી જોઇએ તો સરકારે જાહેર કર્યા મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડુતોને જાણ કરવામાં આવે છે કે, હાલ રવિ સીઝન માટે ખાતરની ખરીદીની સીઝન શરૂ થવામાં હોઇ, તો ખેડુત ભાઇઓએ ખાતર ખરીદતી વખતે નીચે મુજબની કાળજી રાખવી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપની દ્વારા પુરુ પાડવામાં આવેલ છે, તો રવિ સીઝન શરુ થતા એકીસાથે ખાતરની માંગ ઉપસ્થિત થાય ત્યારે કૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે જિલ્લાના તમામ ખેડૂતોને રવિ-૨૦૧૯ની સીઝન માટે પાકની જરૂરીયાત મુજબ, કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જથ્થો અત્યારથી લઇ રાખવા તેમજ ખાતરની ખરીદી પરવાનેદાર વિક્રેતા પાસેથી, સરકાર માન્ય ખાતર પાકા બિલથી ખરીદવા તથા લેભાગુ તત્વો દ્વારા ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેચાણ કરવા આવે ત્યારે આવા ખાતર ન ખરીદવા તથા આવા લેભાગુ તત્વોની જાણ આપના તાલુકાના ખેતીવાડી અધિકારીને કરવા નાયબ ખેતી નિયામક વિસ્તરણ જામનગરની યાદીમાં જણાવાયું છે.