Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ગઈકાલે કોરોના વાયરસનો પ્રથમ પોજીટીવ કેસ સામે આવતા જામનગરમાં આજ દિવસ સુધી માત્ર આ એક કેસને લઈને જ લોકમુખે વિવિધ ચર્ચાઓ ચાલી રહ્યું છે, અત્યારસુધી જામનગરમાં એકપણ કેસ નોંધાયો નહોતો પરંતુ ગઈકાલે દરેડ વિસ્તારના એક ચૌદ માસના બાળકને કોરોના પોજીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી, એક કેસ કોરોના પોજીટીવ આવ્યા બાદ વધુ સાવચેતી અને કોરોનાનો ચેપ જામનગરના અન્ય લોકોમાં ના ફેલાય તે માટે જામનગર તંત્ર વધુ સાબદું બન્યું છે, અને જરૂરી તમામ પગલાઓ એક કેસ સામે આવ્યા બાદ તાકીદની અસરથી લેવાની શરૂઆત કરી દીધી છે,
જીલ્લા કલેકટર રવિશંકરે જાહેરનામું તાત્કાલિક પ્રસિદ્ધ કરીને દરેડ વિસ્તાર અને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરીને આ વિસ્તારમાં રાત્રીના સમયે જ જે વિસ્તારમાં કેસ સામે આવ્યો છે તે સંપૂર્ણ વિસ્તારમાં ફાયર વિભાગના વડા બિશ્નીનોઈની આગેવાનીમાં સોડીયમ હાઈપોક્લોરાઈડ દવાનો છટકાવ કરવામાં આવ્યો છે, ગઈકાલે સામે આવેલ કોરોના પોઝીટીવ ચૌદ માસનું બાળક વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે, તો જામનગર મેડીકલ કોલેજની રીચર્સ અને ડાયગ્લેનોસ લેબમાં આજે કુલ 19 સેમ્પલ તપાસણી માટે આવ્યા છે, જેમાંથી જામનગરના 14 અને પોરબંદર જિલ્લાના 4 દર્દીઓના નમૂનાઓ આવ્યા પરીક્ષણ અર્થે આવ્યા છે, સંભવત આજે સાંજે તમામનો રીપોર્ટ આવશે પછી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.પણ લોકો તંત્રને પુરતો સહકાર આપે તે બાબત પણ ઇચ્છનીય છે.
કલેકટર રવિશંકરનો જામનગરવાસીઓને સંદેશ
જામનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા કલેકટર રવિશંકરે લોકોને સંબોધન કર્યું છે કે હાલમાં જામનગરમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવેલ છે તે ચૌદ મહિનાનું બાળક છે. આ રોગ સંક્રમણથી થાય છે એટલે કે તેને તેના માતા-પિતા અથવા આજુબાજુની વ્યક્તિ પાસેથી લાગુ પડવાની શક્યતા છે. બાળકની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે, બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક જામનગરવાસી પ્રાર્થના કરે તેમ અનુરોધ કર્યો હતો અને સાથે જ જણાવ્યું હતું કે, દરેડ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ આવેલ હોવાથી હાલ દરેડ વિસ્તારને સંપૂર્ણ ક્વોરેંટાઇન કરવામાં આવેલ છે. દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણા અન્ય રાજ્યોના હિન્દીભાષી શ્રમયોગીઓ પણ રહેતા હોય દરેકને જણાવવાનું કે, આ વિસ્તારમાં આ બાળકના કે તેના માતા-પિતાના સંપર્કમાં જો કોઈ પણ વ્યક્તિ આવેલ હોય તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતાં ન હોય છતાં પણ તેઓ તંત્રનો સંપર્ક કરે. આ રોગના લક્ષણો ૧૪ દિવસની અંદર દેખાતા હોઇ કોઈપણ વ્યક્તિને આ ચેપી રોગ લાગુ પડી શકે છે તેમ જણાવી કલેકટરએ અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે.