Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટેની લડાઇ લડી રહ્યું છે. ત્યારે શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસની સંખ્યામાં વધારો થતાં સમરસ હોસ્ટેલ સિવાય જામનગર શહેરના વિસ્તારમાં જુદાં-જુદાં ચાર સ્થળોએ ક્વૉરેન્ટાઈન સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. અને જે કોઇ વ્યક્તિને ક્વૉરેન્ટાઈન કરવાની જરૂર પડે તે માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર દ્વારા આવા સેન્ટરોની મુલાકાત લઇ જરૂરી સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે.
જામનગર શહેરમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસો મળ્યા પછી તેઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હોમ ક્વૉરેન્ટાઈન કરવા અથવા તો તેઓને અન્ય ક્વૉરેન્ટાઈન સેન્ટરમાં રાખવા માટે હાલ સમરસ હોસ્ટેલ એક જ કાર્યરત હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા સેન્ટર ઉભા કરવા માટેનો મ્યુનિ.કમિશનર સતીશ પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર હરિયા સ્કુલ, કુંવરબાઇ જૈન ધર્મશાળા, આયુર્વેદિક હોસ્પિટલ અને સૈફી હોસ્પિટલ વગેરે ચાર સ્થળોએ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ દ્વારા આજે સૈફી હોસ્પિટલમાં ઉભા કરાયેલા ક્વૉરેન્ટાઈન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. એને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પ્રોબે. આઇ.પી.એસ. સફીન હસનને પણ સાથે રખાયા હતા.જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એકે વસ્તાણી દ્વારા ચારેય સેન્ટરો પર જુદા જુદા સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે. અને આજથી જ ચારેય સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યાં રહેવા અને ભોજન સહિતની તમામ સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટેની લડત માટે જામ્યુકો નું તંત્ર એલર્ટ બની ગયું છે.