Mysamachar.in-જામનગર:
ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર વર્ષ ૧૯૯૦ જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ સહિત સાત આરોપી સામેના કેસમાં આજે જામનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે,જેમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહ ઝાલાને ૩૦૨ ના ગુન્હામાં આજીવન કેદની જયારે અન્ય દોષિત પોલીસકર્મીઓને જેને ટોર્ચરના ગુન્હામાં ૨ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે,જો કે તેઓને જમીન આપવામાં આવ્યા છે,
જો એ કેસ પર નજર કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 30 વર્ષ અગાઉ અડવાણીની રથયાત્રા વખતે બિહારમાં તેને રોકવામાં આવતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જે દરમિયાન તા.30 ઓકટોમ્બર,૧૯૯૦ના રોજ પોલીસે કર્ફયુ દરમિયાન હિંસા ફેલાવવા અને તોડફોડ કરવા મામલે ૧૩૩ વ્યકિતઓની ટાડા હેઠળ ધરપકડ કરી ઢોરમાર માર્યો હતો.ત્યારબાદ તેમને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં.
તા.8 નવેમ્બરના રોજ તેમને જામીન મળતા પ્રભુદાસ માધવજી વૈષ્ણનાની અને તેના ભાઇ રમેશ માધવજી બન્નેને સારવાર માટે રાજકોટની ગોંડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જયાં પ્રભુદાસનું મૃત્યુ થયું હતુ,જયારે રમેશભાઇની કીડની ફેઇલ થઇ ગઇ હતી.જેમાં તેઓ સારવાર દરમિયાન બચી ગયા હતા.આ ઘટના બાદ તેના ભાઇ અમૃતલાલે પોસ્ટ મોર્ટમ કરવા માટે મંજૂરી માંગી હતી અને ફરિયાદ દાખલ કરતા CID ક્રાઇમે તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી.આ કેસ ૩૦ વર્ષ સુધી ચાલ્યા બાદ આજે જામનગર કોર્ટે આ કસ્ટોડીયલ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે,
આ કેસમાં અન્ય આરોપીઓ તત્કાલીન પીએસઆઇ શૈલેષ પંડયા, દિપક શાહ, પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજા ને કોર્ટે ૨ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે,જો કે તેઓને જામીન આપ્યા છે,કોર્ટે આ કેસમાં ૫ હજાર પાનાઓની ચાર્જશીટ,૧૦૦૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ,૩૨ સાક્ષીઓ,૩ કોર્ટ વિટનેસ સહિતની બાબતોને ધ્યાને લીધી હતી.