Mysamachar.in-ગાંધીનગરઃ
ગુજરાત સહિત દેશભરમાં મંદીના માહોલ વચ્ચે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જે જાણીને તમને કદાચ નવાઇ લાગી શકે છે. રાજ્યની સરકારી બેંકોની કમિટીએ સપ્ટેમ્બર 2019 સુધીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ગુજરાતમાં સરકારી બેંકોની એનપીએ રૂપિયા 43,290 કરોડ સુધી પહોંચી ગઇ છે. જેમાં સૌથી વધુ NPA (Non Performing Assets) બેંક ઓફ બરોડાની રૂ. 9,609 કરોડ થાય છે. બીજા ક્રમે બેન્ક ઓફ ઇન્ડિયા રૂ. 4,834 કરોડ અને ત્રીજા ક્રમે પંજાબ નેશનલ બેન્ક 3,036 કરોડ એનપીએ દર્શાવી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજ્યની સરકારી બેંકોની એનપીએ રૂ. 43,290 કરોડે પહોંચી છે. જે રાજ્યની બેન્કો દ્વારા કરેલા ટોટલ ધીરાણના 7.10 ટકા જેટલી છે. નાદાર ખાતેદારો સામે રાજ્યની સરકારી બેન્કોએ જુદી જુદી કોર્ટમાં રિકવરી માટે 71,915 કેસ કર્યા છે.
આ સિવાય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં આવેલી 9876 બ્રાન્ચમાંથી 3624 બ્રાન્ચ ગ્રામ્ય વિસ્તારો અને 2385 બ્રાન્ચ સેમી અર્બન વિસ્તારમાં છે. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂપિયા 7,29,841 કરોડ બેન્કોમાં ડિપોઝીટ છે. જેની સામે રૂપિયા 6,09,847 કરોડ ધિરાણ અપાયું છે. જેમાંથી રૂપિયા 1,28,245 કરોડ MSAME સેકટર, તો રૂપિયા 89,295 કરોડ ધિરાણ કૃષિ ક્ષેત્રે આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના આર્થિક રીતે નબળા લોકોને રૂ. 44,604 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે.