Mysamachar.in-જામનગર:
તાજેતરમા લોકોની સલામતી માટે વાવાઝોડા જેવી ઝુંબેશ ચલાવનાર મહાનગરપાલિકાના તંત્રની હવે ટીકા થઇ રહી છે,કેમ કે ફાયર અને ડીઝાસ્ટરના પોઇન્ટથી લોકોની સલામતી માટે કંઇ ઠોસ થયુ જ નથી માટે ફાયર "સેફટી"ના બદલે પોતાની "સેફટી" માટે જાહેર નોટીસ અને વ્યક્તિગત નોટીસો આપી દીધી પરંતુ ત્યારબાદ તો કામગીરી નુ સુરસુરીયુ થઇ ગયુ તેમાય અમુક ટ્યુશન ક્લાસીસોને પાછલે દરવાજેથી પીળો પરવાનો આપી દેવાયો હોય તેવી રીતે અમુક ધમધમવા લાગ્યા છે,
ફાયર શાખાના જણાવ્યા મુજબ સેફટી માટે ૯૪૮ નોટીસ અપાઇ છે,જેમાથી ૧૬૧ અરજી ઇન્વર્ડ થઇ છે અને ૪૫ અરજદારોએ ફી ભરી છે,પરંતુ નોટીસ આપી છે તે તમામ ક્લાસિસ શાળા કોલેજ હોટલ દવાખાના હોસ્પીટલ શોરૂમ શોપીંગ સેન્ટર કારખાના રેસ્ટોરન્ટ દુકાનો સહિતના સ્થળો બંધ છે કે ચાલુ? તેનો જવાબ તંત્ર પાસે નથી નોટીસ મુજબ તો ફાયરસેફટી અને તમામ સલામતી વ્યવસ્થા ડીઝાસ્ટર એક્ટ મુજબ ન કરે ત્યા સુધી વપરાશ બંધ રાખવાનો છે,…પરંતુ એ જોવા કોણ જાય? અમુક તો નોટીસ ઘોળીને પી ગયા છે.છતાં માયકાંગલું તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે કે કોઈની શરમમાં તે સવાલો ઉઠી રહ્યા છે,
સુરતમાં આગની જે ઘટના બની છે,જે બાદ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે,ત્યારે રાજ્યની સાથોસાથ જામનગરમા પણ તંત્રએ કમર કસી છે,અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે,પણ આ કાર્યવાહી સામે કેટલાક જાગૃત નાગરિકો એ સોશ્યલ મીડિયાના માધ્યમથી કોમેન્ટ કરી પોતાનો આક્રોશ ઠાલવવાની શરૂઆત કરી છે,કેમકે માત્ર દેખાવરૂપ કામગીરી થાય છે ઠોસ કામગીરી થઇ રહી નથી તેમ નિષ્ણાંતો નુ માનવુ છે.
જેમાં કેટલાક જાગૃત નાગરિકો એ મનપા તંત્રની આ ઘટના બાદની એટલે કે આગ લાગી ચુક્યા બાદ કુવો ગાળવા નીકળવા જેવી સ્થિતિ ની ભારે ટીકા કરી છે,જેમાં કેટલાકે તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે,કોઈ જણાવે છે કે જામનગરના રસ્તાઓ પર ખાણીપીણીની લારીઓ મા શું કોઈ ફાયર સેફ્ટીના સાધનો છે તેવું પૂછે છે,તો કોઈ ફાયર શાખા પાસે કેટલા માળ સુધી દુર્ઘટના બને તો સીડી છે કે કેમ..?તો અત્યાર સુધી તંત્ર એ શું કર્યું ક્યાં ગયા હતા તેવો સવાલ ઉઠાવે છે
તો આ શરૂ થયેલ ઝુંબેશ સમયથી જ કેટલાક એવું ગણાવે છે કે થોડા દિવસો આવું બધું ચાલશે પછી અને બધું રૂટીન,તો કોઈ જણાવે છે કે આવી કાર્યવાહી સમયે ભ્રષ્ટાચાર ને વેગ મળશે,અને કોઈ તો ત્યાં સુધી કહે છે કે આ ઝુંબેશ માત્ર હંગામી છે.આમ સુરતની ઘટનાને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે.
–સ્ટાફ અપુરતો હોવાનો બચાવ…જોખમ ભલે ઝળુંબે
આ અંગે કોર્પોરેશનના જવાબદારોને પુછતા જણાવ્યુ કે સ્ટાફ પુરતો નથી.બીજી તરફ જામનગરના ૧૩૨ ચો.કીમી. વિસ્તારમા તમામ જગ્યાએ ગીચતા,ગીરદી,ટ્રાફીક,ઢોર,સાંકડારોડ,સાંકડી શેરીઓ,સાંકડા દાદરાતંત્ર ને દેખાતા નથી,આગ અકસ્માત થાય તો લોકો આ દરેક પરિસ્થિતિમાંથી બચવા માટે નીકળશે કેમ? બીજુ કલેક્ટર ,કમિશ્નર તાકીદ કરે છે પણ તેના અમલ નીચેની ટીમ ૧૦૦%કરાવતી જ નથી,જેમ દબાણ હટાવમા થાય છે તેવુ જ આપતિ નિવારવાના પગલામા થઇ રહ્યુ છે,નહી તો નરી આંખે અનેક ખામી અને જોખમ લોકો જુએ છે,તે તંત્ર ને ન દેખાય એવુ બને ખરૂ?
–નિયમોની અમલવારી ના કરે તેની સામે ગુન્હા નોંધવાનુ શરૂ કરો…
કાયદાના જાણકારો એ જણાવ્યુ છે કે અસલામતિ જોખમ કે આપતિજનક સ્થિતિ,અડચણ,દબાણ વગેરે કરવા તે ડીઝાસ્ટર એક્ટ,ફાયર એક્ટ , મ્યુ એક્ટ,જુદા જુદા જાહેરનામાઓ હેઠળ બેદરકારી કે વ્યવસ્થા ન હોવી એ ગુનાહિત પ્રવૃતિઓ છે,માટે માત્ર સર્વે ,સુચના કે માર્ગદર્શન જ નહી જરૂર પડ્યે ગુન્હાઓ નોંધવા શરૂ કરવા જોઇએ,તો જ લાગતા વળગતા જાગશે અને જાહેર હિતમા તે જરૂરી પણ છે તેમજ કમિશ્નરે જાહેર કરેલી નોટીસમા કાનુની પગલા લેવાશે પરંતુ લીધા નથી,
-જાહેર નોટીસના મતલબ શું?
લગત વિભાગો જાહેર નોટીસો આપે છે,અને જાણે જવાબદારી પુરી થઇ ગઇ તેમ માને છે ત્યારે પ્રશ્ર્ન એ છે કે આવી જાહેર નોટીસના પાલન થી બધુ સમુસુતરુ થયુ હોય તેવા ઉદાહરણો કેટલા? માટે વ્યક્તિગત પગલાઓ જરૂરી છે,તેમ પણ જાણકારોનુ માનવુ છે ,અને એમ પણ માને છે કે આવી નોટીસથી તંત્ર પોતાની સેફટી કરી લે છે કે અમે તો નોટીસ આપી હતી તાકીદ કરી હતી બાદમા લોકોની જાનમાલ ની સલામતીનુ જે થાય તે તંત્ર નોટીસ આપી બેસી ની પોતાની સેફ્ટી કરી લે છે.