Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા જેલ લાંબાસમય બાદ વિવાદમાં આવી છે અને જેલ સહાયક દ્વારા જેલમાં પાનમસાલા પહોચાડવા ૫૦૦૦ લાંચ લેવાના કેસમાં વચેટિયાને આજે એસીબીએ ઝડપી પાડ્યો છે,જયારે લાંચ માંગનાર જેલ સહાયકની એસીબીએ શોધખોળ આદરી છે, રાજકોટ એકમ મદદનીશ નિયામક એસીબી એ.પી.જાડેજાના માર્ગદર્શનમાં સુરેન્દ્રનગર એસીબી ટીમ દ્વારા જામનગર જીલ્લા જેલની દિવાલ પાસે લાંચ લેતા વચેટીયો મછાભાઇ કમાભાઇ જાદવ ઝડપાઈ ચુક્યો છે,આ કેસમાં ફરીયાદીનો ભાઇ જામનગર જીલ્લા જેલ ખાતે હોય તેને જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવાની અવેજ પેટે અશ્વિનભાઇ મણીશંકર જાની, જેલ સહાયક, વર્ગ-3, જામનગર જીલ્લા જેલ જામનગર ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરી ફરીયાદી પાસે રૂા.5000 ની લાંચની માંગણી કરેલ..
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન અશ્વિનભાઇ મણીશંકર જાની, જેલ સહાયકએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર વાત કરી પોતે બહાર હોવાનુ જણાવી લાંચની રકમ મછાભાઈને આપી દેવા કહેતા ફરીયાદી તથા પંચોની પાસે જતા વચેટિયાએ પંચોની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદીના ફોનથી વાતચીત કરતા જેલસહાયકએ વચેટિયા મછાભાઈને ફરીયાદી પાસેથી લાંચની રકમ લઇ લેવા જણાવતા તેણે ફરીયાદી પાસેથી હાજરીમાં લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ ગયેલ જયારે જેલ સહાયક હાજર મળી આવેલ નહી હોવાનું એસીબી પાસેથી જાણવા મળે છે.