Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાનું હાલ બજેટસત્ર ચાલી રહ્યું છે, જેમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કેટલીય મહત્વની માહિતીઓ સામે આવતી હોય છે, જેમાં આજે રાજ્યમાં ગંભીર પ્રકારના રોગીઓના આંકડાઓ અને મૃત્યુદરના આંકડાઓ જાહેર થયા છે, જે ખુબ ચોંકાવનારા કહી શકાય તેવા છે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરથી 2250, એઈડ્સથી 1557 અને ટીબી(ક્ષય)થી 10120 દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજ્યના આરોગ્યમંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના 34,733, એઈડ્સના 18091 તથા ટીબીના 2,25,212 દર્દીઓ નોંધાયા છે,
જો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના દર્દીઓના આંકડાઓ પર નજર કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કેન્સરના દર્દીઓ 67, એઇડ્સના દર્દીઓ 100, ટીબીના દર્દીઓની સંખ્યા 1683 છે, તો મૃત્યુના આંક પર નજર કરવામાં આવે તો કેન્સરથી 4, એઈડ્સથી 7 અને ટીબીથી 92 દર્દીઓના મોત થયા છે, જયારે જામનગર જીલ્લામાં કેન્સરના દર્દીઓની સંખ્યા 1314, એઇડ્સના દર્દીઓની સંખ્યા 238 અને ટીબીના દર્દીઓની સંખ્યા 3734 છે, જયારે મૃત્યુ પામેલા દર્દીઓમાં કેન્સરથી 64, એઈડ્સથી 26 અને ટીબીથી 148 દર્દીઓના મોત નોંધાયાનો સતાવાર આંકડો વિધાનસભામાં રજુ થયો છે.