Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ખેડૂતો પોતાના વાવણી કરતા રહેલા સિઝનની શરૂઆતમાં પાકનાં વાવેતર માટે બૅંક અથવા તો સહકારી મંડળી પાસેથી ધિરાણ લે છે. ખેતી વરસાદ આધારિત હોય ત્યારે વરસાદ થાય નહી અથવા તો વધારે વરસાદ થાય અને પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોના રૂપિયા ડુબે નહી અને ખેડૂતોના નુકસાનુ વળતર મળે અને બેંકોનુ ધિરાણ સમયસર ચુકવી શકે તેના માટેની આયોજના છે.
આ યોજનામાં બે પાક એક મુખ્ય અને એક ગૌણ પાકને માન્યતા મળેલી છે. અને ખેડૂત ધિરાણ લે ત્યારે ધિરાણની રકમાંથી પાક વીમાનુ પ્રિમિયમ જે તે બૅંક કે સહકારી મંડળી કાપીને વીમા કંપનીને મોકલી આપે છે. કુદરતી આફત એટલે કે વધારે પડતા વરસાદના કારણે અથવા તો વરસાદ ન થવાના કારણે અથવા તો આગ લાગવાના કારણે, જો પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોના પાકને જેટલું નુકસાન થયુ હોય એટલી રકમ વીમા કંપની આપવા માટે બંધાયેલી છે.
જો નુકસાન થયુ હોય, તો ઑનલાઈન અરજી કરી શકાય છે. આ સિવાય, ખેતીવાડી અધિકારીને લેખિતમા જાણ કરી શકાય છે. તદઉપરાંત, ખેડૂતે જ્યાંથી ધિરાણ લીધું છે ત્યાં પણ લેખિતમા જાણ કરી શકાય છે અને વીમા કંપની ક્લેઈમ કર્યાના 15 દિવસમા મુલ્યાકન કરવા બંધાયેલી છે, અને 30 દિવસમા વળતર આપવા માટે બંધાયેલી છે. સામાન્ય રીતે વરસાદ,દુષ્કાળ,અતિવૃષ્ટિના સરકારના માપદંડ છે તે માપદંડ પ્રમાણે વીમાનુ મુલ્યાકંન થાય છે. 25 ટકા કરતા વધારે વરસાદ હોય તો અતિવૃષ્ટિ, 25 ટકા કરતા ઓછો વરસાદ હોય તો મધ્યમ દુષ્કાળ અને 50 ટકાથી પણ ઓછો વરસાદ હોય તો સંપૂર્ણ દુષ્કાળ જાહેર કરાય છે.
તેમ 25 ટકા કરતા વધારે નુકસાન થયેલું હોય તો વીમા કંપની વળતર આપવા માટે બંધાયેલી છે. આ વખતે ગુજરાતમાં અત્યાર સુધીનો 141 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, ગુજરાતમાં સરેરાશ 41 ટકા વધુ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ખેતીના પાક અને ખેતરો ધોવાયા છે. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોએ પાક વીમો લીધો છે તેમને વળતર મળે, તે માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
અતિવૃષ્ટી અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરકારની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે, આ સર્વનો રિપોર્ટ અધિકારીઓ ગાંધીનગરમાં સરકાર સમક્ષ રજૂ કરે છે, સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે જે ખેડૂતોને નુકશાન થયું છે તેઓને વળતર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને જેટલું નુકશાન પહોંચે છે તેટલા પ્રમાણમાં વળતર ચૂકવે છે. વળતર ચૂકવવા દરમિયાન ખેડૂતો દ્વારા ભરવામાં આવતા ધિરાણ સહિતની માહિતી ધ્યાનમાં રાખવામાં આવે છે.