Mysamachar.in-જામનગર:
હાલારમાં અનેક ગામડાઓમાં આંતરીક અને સ્ટેટ હાઇવેને જોડતા રોડ નથી પરંતુ તંત્ર એવુ કહે છે કે ખેડૂતો જમીન આપે તો રોડ બને…છેવાડાના માનવી સુધી પાયાની સુવિધા અપાય છે તેવું ગરજી ગરજીને કહેવાય છે તો અમુક ગામડામાં રોડ કેમ નથી એ ગ્રામજનો અવર જવર કેમ કરે ? ગામના વાહન હોય તો પણ તે ગામમાં આવ-જા કેમ કરે? એ સવાલ તંત્રને થવો જોઇએ.અંતરીયાળ કેડીઓ અને ગાડા માર્ગે ગ્રામજનો અવર-જવર કરે છે, ધુળીયા માર્ગો શ્ર્વાસમાં વધુ રજકણના ભરાવા કરે અને લોકો હાલાકી ભોગવે છે,
જિલ્લા કક્ષાએ પ્રશ્ર્ન ઉઠયો કે જામનગર જિલ્લા લાલપુર તાલુકાના સેવક ધુણીયાથી ડબાસંગ અને સેવક ધુણીયાથી ગજણા જવા આવવા રોડની જરૂર છે,માટે ડામર રોડ બનાવવા આયોજન છે? તેના જવાબમાં માર્ગ-મકાન વિભાગે જણાવ્યુ કે કંઇ આયોજન નથી (લે બોલ), ડામર રોડ માટે કોઇ મંજુરી પણ નથી (ફરીથી લે બોલ), કાચા રસ્તા તો છે તેનાથી આવન જાવન થાય (હવે તો હદ થઇ ગઇ) અને હા ખેડૂતો જમીનો આપે તો રોડ બને તો સરકાર પાસે જમીન જ નથી રોડ બનાવવા? આ તો બે ત્રણ ગામના દાખલા છે આવા તો અનેક દાખલાઓ ગોતવા જઈએ તો મળે તેમ છે.
અમુક ગામમાં ચકાચક રોડ કેવી રીતે છે
અમુક ગામમાં ચકાચક રોડ, ચોરો, દવાખાના, નિશાળ, મંદિર,બની જાય છે, જોકે ગ્રામજનો જહેમત ઉઠાવતા હશે અને તંત્રની મદદ મળતી હશે તો પછી દરેક ગામ માટે આવી મદદ અને સહિયારો પુરૂષાર્થ, ઉત્સાહ અને ઇચ્છાશક્તિ કેમ ન થાય? નાણા તો અઢળક છે જ.