Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના આજ સુધી અન્ય જિલ્લાના એક મળી કુલ બાર કેસો નોંધાયા છે. તેને સમયાંતરે દર્દીઓની તબિયત સુધરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજરોજ શનિવારે હોસ્પિટલમાંથી બાકીના તમામ સાત દર્દીઓને રજા આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વિસ્તારમાં તારીખ 30 મી એપ્રિલના રોજ અજમેરથી આવેલા પરિવારજનો પૈકી એક મહિલા અને એક પુરુષના પ્રથમ બે પોઝીટીવ દર્દી નોંધાયા બાદ ક્રમશઃ કુલ બાર કેસો નોંધાયા હતા. જેને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓને તબીબોએ કોરોના અંગેની યોગ્ય સારવાર અપાયા બાદ ત્રણ દિવસ પૂર્વે એક માતા-પુત્રી બાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં બાકી રહેતા અન્ય તમામ સાત દર્દીઓને આજરોજ શનિવારે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આમ હવે જો નવા કેસો સામે ના આવે તો દેવભૂમિ દ્વારકા જીલ્લો કોરોનામુક્ત આજથી બની ગયો તેવું કહેવાશે… આ સાથે જામનગર જીલ્લા માટે પણ સારા સમાચાર કહી શકાય કે પોજીટીવ દર્દીઓની સંખ્યામાં છેલ્લા એકાદ દિવસથી ઘટાડો થયો છે, તેની સામે આજે 5 દર્દીઓ કોરોના મુક્ત થતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે, આજે જે દર્દીઓ કોરોનામુક્ત થયા તેમાંથી આરોગ્ય વિભાગના ત્રણ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, આમ અત્યારસુધીમાં જામનગર હોસ્પીટલમાં 33 દર્દીઓએ કોરોનાને મહાત આપી દીધી છે, તો હવે સારવાર હેઠળ કુલ 11 દર્દીઓ હોવાનું સામે આવી રહ્યું છે.