Mysamachar.in-જામનગર
કોરોના વાયરસની મહામારી ને ફેલાતી અટકાવવા માટે બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાનું દરેક માટે ફરજીયાત કરવામાં આવ્યું છે, હા માસ્ક ના વિકલ્પમાં રૂમાલથી પણ મો ઢાંકવા છૂટછાટ આપવામાં આવી છે, એવામાં જામનગર મ્યુ.કમિશ્નર સતીશ પટેલ દ્વારા પણ જામનગર શહેર વિસ્તારમાં માસ્ક ફરજીયાત પહેરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, અને આ જાહેરનામાની અમલવારી માટે સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ શહેરમાં જાહેરમાં થૂકવું, માસ્ક ના પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવવું, સેનેટાઇઝરનો ઉપયોગ ના કરવો વગેરે નિયમોનો ભંગ કરનાર પાસેથી દંડની વસુલાતમાં ગઈકાલ સુધીના આંકડાઓ પર નજર કરતા મનપાને લાખોની આવક થઇ છે.
જેમાં સૌ પ્રથમ માસ્ક નહિ પહેરનાર ની વાત કરવામાં આવે તો 4845 લોકો પાસેથી 947600 નો દંડ વસુલવામાં આવ્યો છે, જે બાદ સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવવાના 923 લોકો પાસેથી 194350, જાહેરમાં થુંકનાર 179 પાસેથી 36600, પોતાના ધંધાકીય સ્થળે સેનેટાઇઝર નો ઉપયોગ નહિ કરનાર 17 દુકાનદારો પાસેથી 3600 નો દંડ આમ કુલ મળીને 1182150 લાખની આવક મનપાને આ તમામ નિયમભંગ બદલ થવા પામી હોવાનું સતાવાર રીતે મુકેશ વરણવાએ “માયસમાચાર”ને જણાવ્યું છે.