Mysamachar.in-ગાંધીનગરઃ
નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપવાનું નક્કી કર્યું છે. એટલે કે રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે.નવી જાહેરાતથી રાજ્યના 2,47,000 કર્મચારીઓને સીધો ફાયદો થશે.
વધુમાં જાહેરાત કરતાં જણાવાયું કે પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં 14 દિવસનો વધારો કર્યો છે. આમ ખેડૂતો 14 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. આ ઉપરાંત રાજ્ય સરકારે ગોધરા, વેરાવળ, ખંભાળિયા, બોટાદ, મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે સાથે હયાત હોસ્પિટલોમાં પથારીઓ પણ વધારવામાં આવશે. હાલની હોસ્પિટલોને અપગ્રેડ કરી 300 બેડની હોસ્પિટલમાં કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે. જેની પાછળ રૂપિયા 1200 કરોડનો ખર્ચ થશે.