Mysamachar.in-વડોદરા:
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગયેલો એક પરિવાર આજે ચાર ચાર દિવસ થઇ ચુક્યા છતાં ગુમ થયો ના મળી આવતા પરિવારજનો પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ છે, વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1લી માર્ચ રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે.
વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોડ કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના પગલે કેવડીયા પોલીસને સાથે રાખીને નવાપુરા પોલીસે cctv કેમરા ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે ચાર દિવસથી પરિવાર ન મળતા પરિવારજનો ચિંતામા મૂકાયા છે. કલ્પેશભાઈના પરિવારજનો વિલાપ કરી રહ્યાં છે, કે વહેલામાં વહેલી તકે કલ્પેશભાઈ તેમજ તેમના પરિવારજનોને શોધી કાઢવામાં આવે.