Mysamachar.in-જામનગરઃ
ચોમાસાની શરૂઆતમાં જાણે કે મેઘો મહેરબાન હોય તેમ નદી, નાળા અને ડેમ છલકાવી દીધા. જે જોઇ ધરતીપુત્રોએ હોશે હોશે વાવણી કરી, પરંતુ ત્યારે કોને ખબર હતી કે આ ખુશી થોડા સમયની જ છે. ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેતરોમાં ઉભેલો પાક દુષ્કાળથી નહીં પરંતુ ભારે વરસાદને કારણે બળીને ખાખ થઇ ગયો. ત્રણ દિવસ પહેલા જ પડેલા કમોસમી વરસાદને કારણે જામનગર તાલુકાના મેડી ગામમાં વ્યાપક નુકસાન થયું છે. અહીં મગફળી, કપાસ અને તલ જેવા પાકનો રીતસરનો સોથ વળી ગયો જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સામાન્ય રીતે ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતથી જ શિયાળાનું આગમન થઇ જતું હોય છે, પરંતુ આ વખતે જાણે કે ચોમાસુ વિદાય લેવાનું નામ જ નથી લેતું તેમ સતત કમોસમી ઝાપટા પડી રહ્યાં છે. જામનગર તાલુકાના મેડી ગામે ત્રણ દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડુંગળી અને તલ જેવા પાક નષ્ટ પામ્યા, એટલું જ નહીં તૈયાર થયેલી મગફળીના પાથરા પલળી ગયા. તો મેડી ગામના શાંતિલાલ ભીમજીભાઇ ભાલોડિયાની વાડીએ વૃક્ષ ધરાસાયી થતા બળદનું મોત થયું હતું. ત્યારે ખેડૂતોની માગણી છે કે ખેતીવાડી વિભાગ દ્વારા આ ગામનો તાત્કાલીક સરવે હાથ ધરવામાં આવે અને નુકસાની અંગે વહેલી તકે વળતર ચૂકવવામાં આવે જેથી ચિંતામાં ગરકાવ ખેડૂતોને થોડી રાહત મળી શકે તેવી માગ ગામના સરપંચ અને તલાટી મંત્રી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિ મંત્રી જેઓ ખુદ આ જિલ્લાના છે, તેઓએ પાક વીમાને લઇને ખેડૂતોની સાથે હોવાનો દાવો કર્યો હતો, હવે તેમના જ જિલ્લાના એક ગામના ખેડૂતો સરકાર મદદનો હાથ લંબાવે તેવી આશા રાખીને બેઠા છે.