Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાતમાં આ વર્ષે ઉનાળા સમય દરમિયાન પીવાના પાણીની સમસ્યાને લઇને સરકાર હરકતમાં આવી છે અને પાણીની સમસ્યા નિવારવા માટે જે-તે જિલ્લાના મંત્રી,પ્રભારીમંત્રી વગેરેને મુલાકાત અને અધિકારીઓ સાથે બેઠક કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ખંભાળિયા કલેકટર કચેરી ખાતે રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીવાના પાણીની તંગી ન રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી,
રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ મીટીંગમાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં હાલ મળતા પાણી સામે વધારાની પાણીની જરૂરિયાત અંગે રિપોર્ટ તૈયાર અધિકારીઓને સૂચના આપી હતી,જેથી કરીને આગામી જુલાઈ સુધી પીવાના પાણીની સમસ્યા ન રહે અને તમામ વિસ્તારોમાં પૂરતું પાણી મળી રહે તેવું આયોજન કરવા અધિકારીઓને આદેશો આપ્યા હતા,
જ્યારે આ બેઠકમાં ઉપસ્થિત રહેલ સંસદ પૂનમબેન માડમે પણ પોતાની પાસે આવતી રજૂઆત મામલે બેઠકમાં જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ૪૫ એમ.એલ.ડી.પાણી મળે છે,જેની સામે 60 એમ.એલ.ડી પાણીની માંગણીની સામે ગાંધીનગર રજૂઆત કરવામાં આવશે અને ૧૯ ગામોમાં હાલ ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે આ વ્યવસ્થામાં હજી સુધારો થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવા જરૂરી સુચના આપવામાં આવી હતી,અને જિલ્લામાં કોઈ સ્થળોએ પાણીની સમસ્યા ના સર્જાય તે જોવા પણ લગત અધિકારીઓને તાકીદ કરી હતી,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયા ખાતે મળેલ પીવાના પાણીની સમીક્ષા બેઠકમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પણ ઉપસ્થિત રહીને પ્રશ્નો રજુ કર્યા હતા.