Mysamachar.in-જામનગર:
હાલમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન લગ્નપ્રસંગ સહિતના ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ લોકડાઉન-2ના અંતિમ તબક્કામાં જામનગર કલેકટર રવિશંકર દ્વારા લગ્નપ્રસંગ યોજવા માટે શરતોને આધીન મંજૂરી આપવા માટે નું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેથી આગામી દિવસોમાં લગ્નપ્રસંગના મુહૂર્તો અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લગ્નગ્રંથી થી જોડાવવા ઈચ્છતા યુવક-યુવતીના પરિવારોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેમજ ગ્રામ્યકક્ષાએ મામલતદાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. તેમજ લગ્ન પ્રસંગમાં વર કન્યા ફોટોગ્રાફર સહિત કુલ ૨૦ લોકોને જ ઉપસ્થિત રહેવાની શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે.
લગ્ન-પ્રસંગના સ્થળ પર સેનેટટાઈઝર કરાવવું જરૂરી રહેશે, તેમજ બહારગામ જતા લોકો માટે માત્ર બે વાહનો જ ઉપયોગમાં લેવાના રહેશે તેમજ દરેક પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, સાથો-સાથ જાહેરનામાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે જો કોઈ લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ થતો જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત લગ્ન પ્રસંગની મંજૂરી મેળવનાર પરિવારોએ ભોજન સમારંભ યોજવાનો રહેશે નહીં, કેમ કે કલેકટરના જાહેરનામામાં તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યારે લગ્ન પ્રસંગ દરમિયાન દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે, આમ જેને આ તમામ શરતો માન્ય રાખવાની તૈયારી હોય તે લોકડાઉન દરમિયાન પણ લગ્નપ્રસંગ યોજી શકશે.