Mysamachar.in-જામનગરઃ
જામનગરના રણજીતસાગર રોડ પર છેલ્લા ચાર મહિનાથી મંજુરી વગર ધમધમતી અને તાજેતરમાં જ શિક્ષણવિભાગે બંધ કરાવેલ મોદી સ્કૂલને દંડ ફટકારવા મામલે અને પગલા લેવા માટે હવે રાજકીય, સામાજિક અને જાગૃત નાગરિકો પણ આગળ આવી રહ્યા છે, ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ આહીરે આક્રોશ વ્યક્ત કરી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે વશરામ આહીરે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર પણ લખ્યો છે, વશરામ આહીરનું કહેવું છે કે જો મંજુરી વગર મોદી સ્કૂલ ચાલતી હોય તો નિયમ મુજબ એક લાખ રૂપિયાનો દંડ અને દંડ છતા સ્કૂલ ચાલુ રાખવામાં આવે તો રોજના 10 હજાર રૂપિયા લેખે દંડ કરવાની જોગવાઈ છે, છતા જામનગર શિક્ષણાધિકારી દ્વારા કેમ આ બાબતે કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
પત્રમાં વશરામ આહીરે લખ્યું કે જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર મોદી સ્કૂલ દ્વારા ધોરણ 1થી 8 સુધી ગેરકાયદેસર સ્કૂલ ચાલતી હોય તેમ ડીઇઓ દ્વારા નામંજુર કર્યા બાદ ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકે પણ તારીખ 30/09/2019ના રોજ નામંજુર કરીને સ્કૂલને માન્યતા ના આપી હોવા છતાં છેલ્લા ચાર માસથી મોદી સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા શા માટે ચાલવા દેવામાં આવી. તારીખ 30/05/2019ના નામંજુરીના પત્રમાં સ્પષ્ટ જોગવાઇ છે કે જો મંજુરી વગર મોદી સ્કૂલ ચાલતી હોય તો નિયમ મુજબ 1 લાખનો દંડ અને છતા સ્કૂલ ચાલુ રાખવામાં આવે તો રોજના 10 હજાર લેખે દંડ કરવાની સૂચના આપવામાં આવી છે.
આમ છતા જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અંદાજે 12થી 13 લાખના દંડ કરવા સામે કોઇ કાર્યવાહી હજુ સુધી કરવામાં ન આવતા શંકા જન્મે છે. આથી મોદી સ્કૂલના દંડ બાબતે ગાંધીનગરથી વિઝિલન્સ તપાસ કરીને મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીએ પારદર્શક વહીવટ સરકાર કરે છે તેવો દાખવો બેસડવા માટે વશરામ આહીરે ટોણો મારીને ટકોર કરી છે. અને મોદી સ્કૂલ સામે દંડની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની શિક્ષણના હિતમાં ચીમકી આપી છે.