Mysamachar.in-જામનગર:
વરસાદ એ કુદરતની એવી કૃપા છે કે કદાચ તેનાથી નુકસાન થાય તો પણ લોકો ઇચ્છે કે હજુય વરસાદ આવે ત્યારે આ વખતે ગત શુક્ર શનિના વરસાદમા કંઇક એવુ જ થયુ અને ખાસ કરીને જોડીયા ધ્રોલ પંથકના ગામડાઓમા ત્રણ દાયકા બાદ આ રીતે ધોધમાર વરસાદ પડ્યો જેથી ઠેર ઠેર પાણી-પાણી થઇ ગયા અને સર્વત્ર જળબંબાકાર થઇ ગયુ..
ખાસ કરીને ગત વર્ષે દુષ્કાળ અને અર્ધ દુષ્કાળમા જકડાયેલા આ વિસ્તારમા પાણીની મોકાણ તો હતી, ઉપરથી તળ સાવ ગયા હતા, અને જ્યા હતા ત્યા ભાંભરા અને ખારાશ વાળા પાણી હતા અને એકંદર લોકો ચિંતામા હતા કેમકે ગત વર્ષથી પણ નબળુ વર્ષ જવાની ભીતી સેવાતી હતી, પરંતુ મેઘમહેરથી બે દિવસમા જ આ સમગ્ર પંથક તરબતર એવો થયો કે મોટાભાગના ગામડાઓમા ૧૯૮૮ બાદ આવો ધોધમાર વરસાદ થયો હોવાનું કેટલાક સ્થાનીક અગ્રણીઓ જણાવે છે, કેમ કે ધ્રોલ અને જોડીયાના તમામ ગામો ઉપર મેઘમહેર પુરી વરસી છે, જેથી લોકોમા હાશકારો થયો છે,
તમામ નાના મોટા ડેમ તળાવ ચેકડેમવગેરે તો ભરાયા દરેક નાલા પુલીયા ઉપર પાણી-પાણી થઇ ગયા અને ધસમસતા પાણી જવા લાગ્યા.. તેમજ અનેક રસ્તા બંધ થયા અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા,જે સ્થિતિ થોડા કલાકો ચિંતાજનક ચોક્કસ રહી હતી.
-મહેર થોડો સમય કહેર પણ બની
જોકે આ સ્થિતિ થોડા કલાકો જોખમી બની પરંતુ તંત્રની સતર્કતાથી કોઇ જાનહાની ન થઇ તેમજ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા, અને જનજીવન થાળે પડવા લાગ્યુ હતુ જોકે લોકો થોડી હાલાકી ભોગવીને પણ વરસાદ સારો થયો તેના સંતોષમા થોડાઘણા નુકસાનને પણ નજરઅંદાજ કરવાની માનસિકતા બનાવી રહ્યા છે.