Mysamachar.in-જામનગરઃ
છેલ્લા કેટલાક સમયથી લડત ચલાવી રહેતા જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડિલર્સ એસોશિએશનના પક્ષમાં ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની એસ્સાર કંપનીને સૂચના આપી છે. ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે એસ્સાર ઓઇલ લીમિટેડના જોઇન્ટ જનરલ મેનેજરને પત્ર લખ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડલી સંચાલિત સહકાર પંપ દ્વારા સહકારી મંડળીઓના ક્ષેત્રમાં એસ્સાર ઓઇલ લિમિટેડને સહકારી મંડળીના ક્ષેત્રમાં બલ્ક આઉટફીટ ખોલવા માટે આપના દ્વારા કોઇ મંજુરી અપાયેલી નથી.
પત્રમાં વધુ જણાવવામાં આવ્યું કે જામજોધપુર વિવિધ સહકારી મંડળી લિમિટેડ દ્વારા અનઅધિકૃત રીતે તેના સભસદોને બે રૂપિયા સસ્તુ ડીઝલ વેચવામાં આવી રહ્યું છે, એગ્રીમેન્ટની શરત નંબર-2 મુજબ ફક્ત ડાયરેક્ટ એમ્પ્લોય/મંડળીના પોતાના વાહનોમાં જ ડીઝલ પુરાવી શકે છે. આમ, આ શરતનો સ્પષ્ટપણે ભંગ જણાય છે. એગ્રીમેન્ટની શરત નંબર-2(f)નો સ્પષ્ટ ભંગ થયો હોવા છતા આજદીન સુધી એગ્રીમેન્ટની શરત નંબર-5 મુજબ આપના દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આ સમગ્ર બાબતે જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી સંચાલિત સહકાર પંપ દ્વારા એગ્રીમેન્ટની શરતોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરેલ હોય આપના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા તથા કરેલ કાર્યવાહીની જાણ કરવા જણાવવામાં આવે છે.
તો ગાંધીનગરથી કરવામાં આવેલી સૂચનાને ટાંકી જામનગર જિલ્લા પુરવઠા અધિકારીએ પણ એસ્સાર ઓઇલને પત્ર લખી જવાબ માગ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડલીએ આપના એગ્રીમેન્ટની શરતોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરેલ હોય આપના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા તથા કરેલ કાર્યવાહીની જાણ કરવા જણાવવામાં આવે છે. આપના દ્વારા યોગ્ય સમયાવધીમાં અત્રેથી વારંવાર સૂચના આપવા છતા કોઇ પગલા ન લેવાના કારણે જામજોધપુર પેટ્રોલપંપ એસોશિએશન દ્વારા હડતાલ પાડી પેટ્રોલ/ડીઝલનું વેચાણ બંધ કર્યું છે. તો ઉપરોક્ત બાબતે લોકોની સુખાકારી/લો એન્ડ ઓર્ડર કે અન્ય કોઇ પરિસ્થિતિનું નિર્માણ થશે તો સંપૂર્ણ જવાબદારી આપની કે આપની કંપનીની રહેશે જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવશે.