Mysamachar.in-ગાંધીનગર
લોકડાઉનના કડક અમલીકરણ માટે પોલીસ દ્વારા બહાર નીકળતા લોકોના વાહન જપ્ત કરવામાં આવે છે પરંતુ તેને છોડવા માટેના નિયમો હજુ નક્કી નહીં હોવાને કારણે અંદાજે રાજ્યમાં 85 હજારથી એક લાખ જેટલા વાહનો પોલીસ સ્ટેશનમાં પડ્યા પડ્યા ધૂળ ખાય છે, નિયમ નક્કી નહીં થાય ત્યાં સુધી પોલીસ આ વાહનો તેમના માલિકોને પરત નહીં કરે. લૉકડાઉનનો ભંગ કરવા બદલ જપ્ત કરવામાં આવેલા વાહનો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મૂકી રાખવામાં આવે છે. અત્યારસુધી આ વાહનો આરટીઓ દ્વારા જ છોડી શકાય તેવા નિયમને કારણે વાહનના માલિકો વાહન છોડાવવા પોલીસ સ્ટેશન અને આરટીઓ તંત્ર વચ્ચે દોડધામ કરતા હતા. પરંતુ હવે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહનો છોડવાની સત્તા પોલીસને આપતું નોટીફિકેશન બહાર પાડી દેવાયું છે જેથી હવે લૉકડાઉનના ભંગ બદલ જપ્ત કરવામાં આવેલા વાહનો પોલીસ જ છોડી શકશે આ બાબતે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, એ પરિપત્રમાં થોડું સંશોધન થઇ રહ્યું છે, વાહન છોડવા માટેની પોલીસે અનુસરવાની પદ્ધતિ, માલિકો પાસેથી બાંહેધરી, વાહન છોડવા માટે કેટલો દંડ વસૂલવો જેવા નિયમો નક્કી કરવાની પ્રક્રિયા ચાલે છે.’ તે થયા બાદ આ અંગેની વધુ સ્પષ્ટતાઓ તેવો દ્વારા કરવામાં આવશે તેમ તેવોએ કહ્યું એટલે કે જેના વાહનો આ સમય દરમિયાન ડીટેઈન થઈને પડ્યા છે, તે ક્યારે છૂટશે તે હજુ સુધી નક્કી થયું નથી.