Mysamachar.in-રાજકોટઃ
આમતો મનપા તંત્ર અવાર નવાર બેદરકારીને કારણે ચર્ચામાં રહેતું હોય છે, ખાસ કરીને શહેરમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને પાણી પ્રશ્ને જનતા કચેરીના અનેક ધક્કા ખાવા છતા કામ ન થતાં હોવાની ફરિયાદો થતી રહી છે, જો કે રાજકોટ કોર્પોરેશન દ્વારા એવી કામગીરી હાથ ધરવામાં આવી જેના કારણે શહેરમાં ભારે ચર્ચા જાગી છે. રાજકોટ શહેર તથા રાજ્યભરમાં જાણીતા બીગ બજાર શોપિંગ મોલને કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. વાત એવી છે કે રાજકોટ મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝુંબેશ શરૂ કરી છે. 36 ટીમોને 18 વોર્ડમાં મિલકતવેરો વસૂલવા માટે ઉતારી છે. બીગ બજારનો 97,67,177 રૂપિયાનો વેરો ભરવાનો બાકી છે, જેના કારણે મનપાએ આ પગલું ભર્યું છે. રાજકોટ શહેરમાં જે વેપારીએ વેરો નથી ભર્યો તેમની મિલકત સીલ કરી દેવામાં આવશે, આજે રાજકોટમાં અંદાજે 100થી વધુ મિલકતો સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ કોર્પોરેશનને ચાલુ વર્ષે રૂપિયા 260 કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં બે મહિનામાં 100 કરોડની વસૂલાત કરવામાં આવશે. આ અંગે મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે તમામ વોર્ડમાં વેરા વસુલાતની ટીમો દ્વારા સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 300 કર્મચારીઓ વેરો વસુલાત માટે કામે લાગ્યા છે. બીગ બજાર સહિત વિજયકાંત ફાઉન્ડરી, પેન્ટાલૂન, રાધેક્રિષ્ના જ્વેલર્સ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે.