Mysamachar.in-જામનગર:
કલેકટર જામનગર દ્વારા આજરોજ સૈન્યની ત્રણે પાંખ આર્મી, નેવી અને એરફોર્સ સાથે કોરોના વાયરસ અનુસંધાને બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસની સંભવિત પરિસ્થિતિ સમયે સૈન્ય સાથે કઇ રીતે સહકાર સાધી કામગીરી કરવામાં આવશે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સેનાના કેમ્પમાં બહારથી આવતા જવાન કે અન્ય કોઇ જો સંભવત: શંકાસ્પદ કેસ હોઇ તો ક્યા પગલા લેવામાં આવશે એ અંગેની ચર્ચાઓ કરાઇ હતી.
આ બેઠક અનુસાર સંભવત: કોરોનાનો કોઇ શંકાસ્પદ કેસ જણાઇ તો આર્મી પોતાના કેમ્પમાંની હોસ્પિટલમાં જ આઇસોલેશન અને ક્વોરેંટાઇન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવશે. જ્યારે નેવી અને એરફોર્સ ખાતે આઇસોલેશનની સુવિધા નિર્મિત કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણે પાંખોને કલેકટરએ સાવચેતીના પગલાઓ લેવા તેમજ આવશ્યક સમયે તંત્ર દ્વારા અને જી.જી. હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.