Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારના બંને જિલ્લાઓ અને તાલુકાઓમા હોટલ રેસ્ટોરન્ટ સહિત ખાદ્યચીજ તેમજ પીણાના વેંચાણ તેના ઉત્પાદન સ્થળોની સતત તપાસ જરૂરી છે, વળી આશ્ર્ચર્યકારક રીતે હાઇવે પરના ધાબાઓમા તો નિયમિત ચેકીંગ થતા હોય તેવુ તો ક્યારેય જાહેર થયુ નથી, અને આ જવાબદારી સ્ટેટ ફૂડ વિભાગની હોય પણ બન્ને જીલ્લામાં આવી કામગીરી આ વિભાગે કર્યાનું ક્યારેય સામે આવ્યું હોય તેવા જુજ દાખલાઓ પણ શોધવા પડે તેમ છે, માત્ર વાર તહેવારના દરોડા એ તો માત્ર ખેલ હોય છે જેમાથી જુજ કેસને બાદ કરતા કોઇની સામે ઠોસ પગલા લેવાતા જ નથી તેમ જાણકારો કહે છે,
હોટલ-રેસ્ટોરન્ટસમાં પીરસાતા ખાધ સામગ્રીઓ આરોગ્યપ્રદ છે કે, નહીં તેની ચકાસણી ચોમાસાના દિવસો દરમિયાન કરવા સરકારે તો આદેશ કર્યો જ છે. જુદા જુદા શહેરમાં તેમજ હાઇ-વે પર આવેલી હોટલો દ્વારા લાયસન્સ રીન્યુઅલ અને તેની શરતોનું પાલન કરવામાં આવતું નહીં હોવાની ફરિયાદો તેમજ જમીનને બીનખેતીમાં રૂપાંતર કરાવ્યા વિના હોટલ-રેસ્ટોરન્ટ શરૂ કરી દેવાની પ્રવૃત્તિ સામે પણ હવે જિલ્લાઓના તંત્ર દ્વારા કાયમી આ કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે જોકે આ બાબતે સરકારના તો હુકમો તો છે જ.
હોટલ અને રેસ્ટોરન્ટોના પરવાના તેમજ અન્ય બાબતોની સઘન ચકાસણી કરવાના અધિકારો પહેલા પ્રાંત અધિકારીઓ પાસે હતા જે હવે નથી… જેમાં સરકાર દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે, ચોમાસામાં ગંદકીના પગલે ફેલાતા પાણીજન્ય રોગચાળા સામે અટકાયતી પગલા ભરવાના ભાગરૂપે સમગ્ર જિલ્લાઓમાં આવેલી હોટલો તેમજ રેસ્ટોરન્ટોમાં પીરસવામાં આવતી ખાધ સામગ્રી આરોગયપ્રદ છે કે, નહીં તેની ચકાસણી કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમેં વારંવાર ચેકિંગ કરવું જોઈએ..
પરંતુ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના હાઈવે પર આવેલ તમામ હોટેલો અને ધાબાઓ સહિતની ખાણીપીણીની જગ્યાઓ માત્ર ને માત્ર સારું જ ખાન પાન લોકોને પીરસે તેવું આ વિભાગના બાહોશોએ ઓફિસમાં બેઠા બેઠા નક્કી કરી લીધું હશે એટલા માટે જ જે લોકોના હાઈવે પર ખાણીપીણીના ધંધાઓ છે તેને ત્યાં માત્ર મોજ જ છે..કારણ કે એક જ હાઈવે પર કોઈ પ્રવાસી કાયમી ખાવા પીવા માટે ના જાય એટલે હાઈવે પરની રેસ્ટોરન્ટ, હોટેલો સૌથી વધુ ભેળસેળ કરતી હોવાની શક્યતાઓને પણ નકારી ના શકાય પણ વિભાગોને પગાર અને મલાઈ લેવામાં રસ હોય પછી શું કેહવું…