Mysamachar.in-જામનગર:
જામનગર શહેર ગેરકાયદેસર બાંધકામોની ચુંગાલમાં બરોબરનું ફસાઈ રહ્યું છે, છતાં પણ મનપાના તંત્રને આંખે પાટા બાંધ્યા છે અને કા તો અધિકારી, કર્મચારીઓ દબાણને વશ થઈને દબાણો તોડવા પડે તો જ (એટલે કે ફરજીયાત હોય ઉપરથી સુચના હોય કોઈ નડ્યું હોય તો) જ તોડવામાં રસ છે, બાકી બધું ભલે ચાલે…તો વિપક્ષ અને શાશકના અમુક અને અમુક ચૌદ્શો જે આખો દિવસ મનપામાં પડી પાથરી રહી છે તે મળીને આવા સ્થળોએથી ચોક્કસ પ્રકારના લાભો લેતા હોય છે તેવી ચર્ચાઓ સાંભળવા મળે છે,
આવા જ કેટલાક કિસ્સાઓ જાગૃત નાગરિકોએ છેલ્લા કેટલાક દિવસોમાં માયસમાચારને ધ્યાને મુક્યા છે,જેની જરૂરી ખરાઈ કરી પગલા લેવાની જવાબદારી મહાનગરપાલિકાની છે તેને પગલા લેવા જોઈએ, તેવું પણ જાગૃત નાગરિકો માને છે, જેમાં પ્રથમ કિસ્સો શહેરના ગાંઘીનગર રોડ પર જતાની સાથે જ એક કોમર્શીયલ કોમ્પ્લેક્ષ જે બહારના રાજ્યમાંથી આવેલ એક આસામીનું છે, તેમાં મનપાના મંજુરી અને પ્લાન નકશાને નેવે મુકીને શટર, લીફ્ટ, અને અન્ય આંતરિક ગે.કા બાંધકામ કરી લેવામાં આવ્યા છે, આ બિનગુજરાતી આસામીએ તો એટલી હદે નિયમ વિરુદ્ધ બાંધકામ કર્યું છે કે મનપામાં ભલામણો માટે પગ ઘસી રહ્યા છે, આમથી તેમ થાય છે,
ફાયર સેફટીને નામે મોટાભાગની ઇમારતોમાં મીંડું
જુના જીડીસીઆરનું બહાનું આગળ ધરીને શહેરના મોટાભાગના કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, મોલ, હોસ્પિટલો, હોટેલો, રેસ્ટોરન્ટ, રહેણાકો, અને એપાર્ટમેન્ટમાં ફાયર સુવિધાને નામે સાવ રામ રાજ ચાલે છે, તે જોવા કોણ જશે,? કે પછી આગ લાગશે ત્યારે જ કુવો ખોદવા નીકળશે તેવા સવાલો પણ તજજ્ઞ નાગરિકોને મન થાય છે.
તો અન્ય બાંધકામ રણજીતસાગર રોડ વૃંદાવનપાર્ક નજીક એક આસામી દ્વારા કોઇપણ જાતની પૂર્વ મંજુરી વિના એક બે નહિ પણ ચાર-ચાર દુકાનો ઉતારી દીધી હોવાનું ધ્યાને આવ્યું છે, છતાં પણ કોઈ બોલનાર નથી, તો ગેલેક્સી સિનેમા નજીક એક આસામી દ્વારા સરકારી માર્ગને દબાવી દઈને ત્યાં ગોડાઉન જેવું કાઈક ઉભું કરી નાખ્યાનું પણ સામે આવે છે, આ સિવાય પણ દરબારગઢ નજીક, રણજીતરોડ, રણજીતનગર સહિતના કેટલાક કિસ્સાઓ છે પણ તે હજુ સુધી ખુલીને સામે આવ્યા નથી, કારણ કે ત્યાં આકાઓના આશીર્વાદ છે, ત્યારે આ તો માત્ર સ્થાનિક જાગૃત નાગરિકોએ ધ્યાન પર મુકેલા દાખલાઓ અત્રે પ્રસ્તુત કર્યા છે. જેની ખરાઈ કરી અને પગલા લેવાની જવાબદારી મહાનગરપાલિકાની છે, આવા તો કેટલાય ગેરકાયદેસર બાંધકામો શહેરને ઘેરી રહ્યા છે, ત્યારે મનપાની વોર્ડ ઇન્સ્પેકટરોની ટીમ જે-તે વોર્ડમાં જઈને શું કરતી હશે તે પણ સવાલ સહેજે થાય..
રીનોવેશનને નામે સૌથી વધુ ખેલ
જાણકારો કહે છે કે સૌથી વધુ ખેલ રીનોવેશનને નામે પડે છે, એન એકાદ રૂમનું સામાન્ય રીનોવેશન મનપામાં બતાવીને નવું બાંધકામ થઇ જાય ત્યાં સુધી કોઈને ખ્યાલ નથી આવતો,અને આવે ત્યારે પગલા ભરવા કે ભલામણ રાખવી આ પ્રશ્ન આવીને ઉભો રહી જાય છે.