Mysamachar.in-જામનગરઃ
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી એક એવી ટોળકી સક્રિય થઇ છે જે ખોટા અકસ્માત સર્જી લોકો પાસેથી પૈસા ખંખેરી રહી છે, આ ટોળકીએ શહેરમાં આવેલા તળાવની પાળ વિસ્તારમાં પોતાનો અડ્ડો બનાવ્યો છે, અહીં વાહન લઇને પસાર થતાં ટિનેજરથી લઇને મજૂર જેવા દેખાતા લોકો સાથે સામાન્ય અકસ્માત સર્જી પૈસાની માગણી કરે છે, જો પૈસા આપવાની આનાકાની કરે તો પોલીસ કેસ સહિતની ધમકીઓ આપે છે. આ મામલે જામનગરના PSI ગોજીયા તથા LCBની ટીમે શહેરવાસીઓને અપીલ કરી છે કે જો કોઇ આ ટોળકીનો ભોગ બન્યા હોય તો તુરંત પોલીસનો સંપર્ક સાધે જેથી આવી ટોળકીને કાયદાનું ભાન કરાવી શકાય.
કેવી રીતે સર્જે ખોટો અકસ્માત ?
પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરના તળાવની પાળ વિસ્તાર પાસે ફરવા આવતા સગીર યુવક-યુવતી તથા સામાન્ય વ્યક્તિઓને નિશાન બનાવતા, જેમાં આ ટોળકી ભંગાર જેવું બાઇક લઇને રસ્તા પર પસાર થતા વ્યક્તિના વાહન સાથે અકસ્માત સર્જતા હતા. બાદમાં બાઇકમાં નુકસાન થયું હોવાનું કહી એક હજાર રૂપિયાથી લઇને પાંચ-છ હજાર રૂપિયા પડાવતા હતા, આ ટોળકીએ અત્યારસુધીમાં આવી રીતે 15થી 20 લોકોને ભોગ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે LCBએ અપીલ કરી છે કે આ ટોળકીનો ભોગ બનનારા લોકો ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે શહેરવાસીઓએ આ ટોળકીનો ભોગ ન બને તે માટે સાવચેત રહેવું અને તુરંત પોલીસનો સંપર્ક સાધવો.