Mysamachar.in-જામનગર
હાલમાં સસ્તા અનાજની દુકાન પર અનાજ લેવા માટે ક્યાંક પડાપડી પણ થતી હોય છે, તો અમુક સસ્તા અનાજની દુકાનવાળાઓને લઈને કેટલીક ફરિયાદો ઉઠતી રહે છે, એવામાં જામનગરમાં તો સસ્તા અનાજની દુકાનવાળા સહિતના લોકો જાણે દંગલ મચાવ્યું હોય તેમ એક પરિવાર પર હુમલો કરી દેતા મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે, વાત એવી છે કે શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા જયેશ દામજીભાઈ નકુમના ઘરના મહિલા સભ્ય ઘર પાસે આવેલ દિલીપ ગોસ્વામીની સસ્તા અનાજની દુકાન પર સવારે રાશન લેવા માટે ગયા હતા ત્યારે દુકાનદારે તેમને ટોકન આપી અને સાંજે રાશન લેવા આવવા માટે જણાવ્યું હતું.
જે બાદ સાંજે જયારે સસ્તા અનાજની દુકાન પર રાશન લેવા પહોચ્યા ત્યારે રાશન નહિ મળે થાય તે કરી લેવાનું તેમ કહી બોલાચાલી કરતા મામલો બીચકયો હતો,અને જોતજોતામાં દુકાનદાર દિલીપ ગોસ્વામી તથા અન્ય આઠ જેટલા અજાણ્યા ઈસમો એ જયેશભાઈ સહીત તેમના પરિવારના મહિલા સભ્યો પર પણ હુમલો કર્યો હતો. સસ્તા અનાજની દુકાને થયેલ આ બબાલને અનુસંધાને જયેશભાઈની ફરિયાદને આધારે બી ડીવીઝન પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.