Mysamachar.in-વીરપુરઃ
જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રને 200 વર્ષ પૂર્ણ થતાં વીરપુર ખાતે અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવનીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ બધાની વચ્ચે સાત સમુંદર પાર કરી બાપાના દર્શને આવેલા કિથ સ્કવાયર્સે સૌકોઇનું ધ્યાન ખેંચ્યું છે. બ્રિટનના વેલ્સમાં રહેતા કિથ છેલ્લા 32 વર્ષથી જલારામધામ વીરપુર દર્શને આવે છે. એટલું જ નહીં વીરપુરની જેમ તેણે બ્રિટનમાં પણ બાપાના નામનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બ્રિટનથી અહીં આવી સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યો છે.કિથ યોગા ટીચર છે. વીરપુરના સદાવ્રતથી પ્રભાવિત થઈ વેલ્સમાં જલારામ બાપાનો રોટલો અન્નક્ષેત્ર શરૂ કર્યું જેમાં રોજ ભુખ્યાને કઢી-ખીચડીનો પ્રસાદ આપે છે.
કિથે વેજિટેરિયન ફૂડ નામનું પુસ્તક લખ્યું છે. કિથ તેની પત્ની સાથે ભાવિકો વચ્ચે બેસીને મોરારિબાપુની કથા સાંભળે છે. મોરારીબાપુએ કથા દરમિયાન જલારામ બાપાના અનન્ય ભગત કિથનું વર્ણન પણ કર્યું હતું. કિથનું કહેવું છે કે મારા જીવનમાં રામ અને જલારામને કારણે પરિવર્તન આવ્યું છે. હું રામાયણનું પુસ્તક સાથે રાખું છું. હું બાર વખત વીરપુર આવ્યો છું. જલારામ બાપા તરફ મને ખેંચાણ છે એટલે અહીં આવું છું. જ્યારે આવું છું ત્યારે અહીંના અન્નક્ષેત્રમાં સેવા આપું છું. બ્રિટનમાં મારા મિત્ર મનસુખભાઇ પટેલ રહે છે. તેમના ઘરે હું ભોજન માટે ગયો ત્યારે તેના ઘરમાં મેં જલારામ બાપાનો ફોટો જોયો હતો અને મનસુખભાઇના પત્નીએ મને જલારામ બાપા વિશે અને અન્નક્ષેત્ર વિશે વાત કરી હતી. ત્યારથી મને થયું કે વીરપુર જવું જોઇએ. 1991માં હું પહેલીવાર વીરપુર આવ્યો હતો ત્યારે મને અલગ જ અનુભૂતી થઇ અને મને જલારામ બાપા તરફ આકર્ષણ વધતુ ગયું. કિથ અઠવાડિયે રામાયણનું એક પાનું વાંચે છે અને સંસ્કૃતમાંથી અંગ્રેજી ભાવાર્થ કરી તેનો અર્થ સમજવાની કોશિશ કરે છે.