Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં એક પછી એક કૌભાંડો આકાર લઈ રહ્યાં હોવા છતાં શાસકો આવા કૌભાંડને ઉજાગર કરવાના બદલે ઢાંક-પીછોડા કરી રહ્યાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે જામનગર શહેરને સ્વચ્છ-સુઘડ બનાવવા વિશ્વબેંકે 150 કરોડની ગ્રાન્ટ ફાળવી ભૂગર્ભ ગટર યોજના પ્રોજેકટને લીલી ઝંડી આપી હતી, પરંતુ અમુક અધિકારી-પદાધિકારીઓ દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેકટને કૌભાંડનું રૂપ આપી દીધું હોવાનું સમીક્ષકો જણાવે છે, જામનગર શહેર માટે વિશ્વબેંક દ્વારા ભુગર્ભ ગટર યોજના માટે રૂા.150 કરોડથી વધુ રકમની ગ્રાન્ટ આપી છે, આ ગ્રાન્ટ આપવાનો મૂળભૂત હેતુ વાતાવરણ અને પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ફાળવેલ હતી. આ ગ્રાન્ટ આઇસીઝેડએમ (ઇન્ટરગ્રેડેટ કોસ્ટલ એન્ડ મેનેજમેન્ટ) હેઠળ જામનગર શહેરનો પ્રોજેકટ રીપોર્ટ બનાવેલ હતો.
વિશ્વબેંકે જામનગર શહેરની મુલાકાત લઇ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ગ્રાન્ટ આપવાની શરતે આપેલ હતી જે અન્વયે મહાનગરપાલિકા જામનગર શહેરના ગઢની રાંગ વિસ્તારમાં પાઇપ ગટર નાખેલ છે, જેમાંથી સ્ટોર્મ વોટર અને પાઇપ ગટર સાફ કરવાના અને પમ્મીંગ કેવી રીતે થશે તેનું કોઇ આયોજન કે વ્યવસ્થા ન થતા, આ પાઇપ ગટરથી શહેરમાં ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ છે. જામનગર શહેર માટે મહત્વપૂર્ણ ભૂગર્ભ ગટર યોજનામાં શહેરનો પ્રોજેકટ રીપોર્ટ ભારત સરકારની વિખ્યાત ક્ન્સલ્ટન્સી સર્વિસ વાપકોસ વોટર એન્ડ પાવર ક્ન્સલ્ટન્સી સર્વિસ દ્વારા બનાવેલ હતો, પરંતુ હાલમાં ભૂગર્ભ ગટર બનાવનાર કંપની દ્વારા ભૂગર્ભ ગટરનું કામ પડતું મૂકી દીધેલ હોવાનું સામે આવેલ છે, તેમજ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર જ જનરલ બોર્ડ ઠરાવથી બીજી પાર્ટીને આ કામ સોંપી દીધુ હતુ,
-તપાસની માંગ અગાઉ પણ થઇ હતી
ભૂગર્ભ ગટર યોજનાના આ કામમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે અગાઉ જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતાએ પણ અનેક સવાલો ઉઠાવી આ મામલે તપાસની માંગ કરી હતી, પરંતુ આજ દિન સુધી મહાનગર પાલિકા દ્વારા યોગ્ય દિશામાં અને જરૂરી તપાસો કરવામાં આવી ના હોવાનું દેખાઈ આવે છે,
-પ્રોજેક્ટમાં ભારોભાર ગેરરીતીની આશંકા હોય તપાસની માંગ
હાલમાં દોઢસો કરોડના આ પ્રોજેકટમાં ઘાલમેલ થઈ હોવાની આશંકા સાથે આરટીઆઈ ઍક્ટિવિસ્ટે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ થાય તો તે પ્રજાના અને વિશ્ર્વ બેંકના હિતમાં રહેશે તેવું જણાવી નિયમ મુજબ કાર્યવાહી ન કરનારા જવાબદારો અને ભ્રષ્ટાચારમાં ભાગીદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ માંગ ઉઠી છે