Mysamachar.in-ગાંધીનગરઃ
આજે સ્થિતિ એવી બની છે કે મોટાભાગના સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ સામાન્ય બની ગયા છે. લોકોમાં એવી વાત ઘર કરી ગઇ છે કે સરકારી કામો ભ્રષ્ટાચાર વગર શક્ય નથી, ખાસ કરીને લાંચીયા સરકારી બાબુઓ સરકારી તિજોરીના પૈસા બચાવવાને બદલે કરોડો રૂપિયા ચાઉ કરી જાય છે. ગુજરાતની જનતા માટે પાણીની તંગી દૂર કરવા માટે અતિમહત્વની સૌની યોજનામાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ખેલ ખેલાયો હોવાની ચર્ચા જાગી છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તટસ્થ તપાસ થાય તો રાજ્યનું સૌથી મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ બહાર આવી શકે છે. બંધારણની આંટીઘૂંટી વચ્ચે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોએ કેવી રીતે સૌની યોજનાના ટેન્ડરોમાં નાણાં વેડફવવાનો ખેલ ખેલ્યો એ જાણવા જેવું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારના જળસંપતિ વિભાગે ૨૦૧૩ના ફેબ્રુઆરીમાં સૌની યોજનાના પેકેજ-૧ના રૂપિયા ૫,૯૮૫.૦૩ કરોડના ટેન્ડરો મંજૂર કર્યા હતા, જળસંપતિ વિભાગે સૌની યોજનાના પેકેજ-૧ના પ્રથમવાર બહાર પાડેલા ૧૨ ટેન્ડરમાં કંપનીઓએ સરેરાશ ૧૦ ટકા ઊંચા ભાવે ટેન્ડર ભર્યા હતા. બાદમાં ટેન્ડરોમાં ૧૦ ટકા ઊંચા ભાવ ભરાયાનું કારણ આગળ ધરી આ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા, બાદમાં અચાનક જ પેકેજ-૧ના ખર્ચનો અંદાજ બદલી મૂળ અંદાજ કરતાં ૧૦ ટકા વધુ રૂપિયા ૫,૯૮૫ કરોડ કરી ફરી ટેન્ડર કરાયા, આ ટેન્ડરો સરેરાશ ૧૮ ટકા ઊંચા ભાવના આવ્યા હતા. રિ-ટેન્ડરની પ્રક્રિયામાં ‘એક બીડર કંપનીને બે ટેન્ડરો લાગી શકશે.’ તેવી ખાસ શરત ઉમેરવામાં આવી હતી. આમ, સૌની યોજનાના પેકેજ એકમાં જે પ્રથમવાર ટેન્ડર ૧૦ ટકાના ઊંચા ભાવે મંજૂર કરવાને બદલે રદ કરાયા હતા પછી ૧૦ ટકા અંદાજિત ખર્ચમાં વધારો કરીને પાછળથી સરેરાશ ૧૮ ટકા ઊંચા ભાવના ટેન્ડરો મંજૂર કરીને કામો અપાયા હતા જેથી સૌની યોજનાના પેકેજ-૧માં સરકારી તિજોરીને પ્રથમ મૂળ અંદાજની રકમના પ્રથમ ટેન્ડરોની સામે બીજી વાર રિ-ટેન્ડરના અંદાજિત ખર્ચ સામે ૨૮ ટકા વધુ રકમની ચૂકવણી થઇ હતી.
સરકારે ટુ બીડ પદ્ધતિથી ટેન્ડર કરી તંદુરસ્ત સ્પર્ધાથી સરકારી તિજોરીના નાણાં બચાવવાના હોય છે પણ સૌની યોજનાના ટેન્ડરોમાં નાણાં વેડફવાનોનો ખેલ થયો હતો. સરકારે તા.૬-૨-૨૦૧૩ના રોજ રૂ.૧૦,૦૦૦ કરોડની સૌની યોજના જાહેર કરી હતી જેને ત્રણ પેકેજ એટલે કે, ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી હતી જેનો આશય સૌરાષ્ટના વિસ્તારોમાં નર્મદાના પાણી પહોંચાડવાનો હતો. આ માટે જરૂરી પાઇપલાઇનું નેટવર્ક ઊભું કરી નર્મદા ડેમમાંથી આવતાં વધારાના પાણીને દરિયામાં વેડફવાને બદલે તેને સૌરાષ્ટ્રના તળાવો અને ડેમો ભરી શકાય. આ યોજનાના પ્રથમ પેકેજમાં ભૂગર્ભ પાઇપલાઇન નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશનો ઉભો કરવાના હતા. પ્રથમ પેકેજમાં ૧૨ ટેન્ડર કરાયા હતા. ત્યારે આ ટેન્ડરમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે.
ગત ચોમાસામાં સૌનીનો ભ્રષ્ટાચાર ઉછળી ઉછળીને બહાર આવ્યો હતો
સૌની યોજનામાં ચાલતા મોટાભાગના કામો પેટા કોન્ટ્રાક્ટરમાં આપી દેવામાં આવ્યા છે. અને જ્યારે આ કામો થતા હોય ત્યારે તેના પર યોગ્ય મોનિટરીંગનો અભાવ ગત ચોમાસામાં પણ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ત્યારે જોવા મળ્યો, જ્યારે પાઇપલાઇનો ખેતરો ચીરી ચીરીને બહાર આવી રહી હતી. ત્યારે પણ સામે આવ્યું હતું કે સ્પેશિફિકેશન મુજબ કરવા જોઇતા કામો ના કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ કથિત મીલિભગત કરીને કરોડોનું આંધણ કર્યું હતું.
સૌની યોજનાની શરૂઆત તારીખ 06-02-2013થી થઇ, જેનો કુલ ખર્ચ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા છે, આ યોજનાના પ્રથમ પેકેજની અંદાજીત ખર્ચ રૂપિયા 5985.03 કરોડ રૂપિયા હતો, જો કે પ્રથમ ટેન્ડર મંજુર કર્યા બાદ ખર્ચ રૂપિયા 7,113,55 કરોડ થયો. એટલે કે પ્રથમ પેકેજમાં સ્પષ્ટ રીતે 1128.52 કરોડ રૂપિયાની રકમ વધી ગઇ. પ્રથમ પેકેજ પૈકી 100 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જ્યારે બીજા પેકેજની સ્થિતિએ કામ પૂર્ણતાના આરે છે અને ત્રીજા પેકેજની સ્થિતિનું કામ પૂર્ણ થવાને હજુ બે વર્ષનો સમય લાગશે. સૌની યોજના પાછળ સરકારે કરેલા ખર્ચ પર નજર કરીએ તો વર્ષ 2017-18માં રૂપિયા 1931.88 કરોડ રૂપિયા થયો હતો. જે વર્ષ 2018-19માં રૂપિયા 3674.07 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.