Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા જમીન કૌભાંડો આકાર લઇ રહ્યા છે, અમુક કિસ્સાઓ મા ફરિયાદ કરવા લોકો આગળ આવે છે, અને અમુક કિસ્સાઓમાં ભયના માર્યા આગળ આવવા તૈયાર થતા નથી, એવામાં બે દિવસ પૂર્વે જામનગરમાં ઓશવાળ ત્રણ વિસ્તારમાં વસવાટ કરતાં પ્રોફેસરના બંગલામા રાખવામાં આવેલ કાર પર ફાયરીંગ કરી ભય ઉભો કરવા માટે થયેલ ફાયરીંગ પ્રકરણમાં પોલીસે ભુમાફિયા ઉપરાંત ભાજપના નગરસેવક સહીત આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં એલસીબીએ તપાસ દરમિયાન ગણતરીની કલાકોમાં જ આરોપી ભારતીય જનતા પાર્ટીના નગરસેવક અતુલ ભંડેરીની તેના નિવાસસ્થાન નજીકથી ધરપકડ કરી છે.
ડો.પી.આર.રાજાણીના ઓમવિલા નામના બંગલામાં પાર્ક કરાયેલી કાર ઉપરાંત હવામાં ફાયરીંગ કરવાના ચકચારી પ્રકરણમાં ફરિયાદના આધારે પોલીસે ભુમાફિયા જયેશ રાણપરીયા ઉપરાંત નગરસેવક અતુલ ભંડેરી અને છ અજ્ઞાત શખ્સો સામે ગુન્હાહિત કાવતરૂ રચી ફોન પર ધમકી આપી ખંડણીની માંગણી કર્યાનો ગુનો નોંધ્યો હતો. આ ચકચારી ફાયરીંગ પ્રકરણની તપાસનો ધમધમાટ સ્થાનિક ગુન્હા શોધક શાખાએ હાથ ધર્યો છે.જેમાં પોલીસે ગત સાંજે આરોપી ભારતીય જનતા પાર્ટીના નગરસેવક અતુલ ભંડેરીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.