Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ શ્રી મહાવીરદળ સંચાલિત આદર્શ સ્મશાન સૌરાષ્ટ્રભરમાં ખ્યાતી ધરાવતું સ્મશાન છે, અને રોજના કેટલાય મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવે છે, અને જે-તે મૃતદેહના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ અસ્થીઓનું જયારે વિસર્જન કરવાનું હોય ત્યારે જ પરિવારના સભ્યો અહીંથી અસ્થિઓની માટલી એટલે કે અસ્થિકુંભ લઈને દ્વારકા કે જે કોઈસ્થળે અસ્થિ વિસર્જન કરવાના હોય ત્યાં લઇ જતા હોય છે, એક માન્યતા પ્રમાણે અસ્થીઓને વિસર્જન વખતે જ અસ્થીની માટલી લેવા માટે પરિવારજનો જતા હોય છે,
પરંતુ હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે તેની ઈફેક્ટસ્વરૂપે અહી મોટીસંખ્યામાં અસ્થિકુંભ એકઠા થયા છે, હિન્દુ ધર્મમાં વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના અસ્થી ધાર્મિક માન્યતા મુજબ વિધિ બાદ જળમાં વિસર્જન કરવામાં આવે છે. જામનગરમા છેલ્લા ૨૦ દિવસમાં ૧૩૫ જેટલા લોકોના અંતિમ સંસ્કાર સમાજ સેવક મહાવીરદળ સંચાલિત સ્મશાનમાં કરવામાં આવેલ છે જે સામાન્ય મૃતદેહોના અંતિમ સંસ્કારથી ઓછા છે, મૃતકના અંતિમસંસ્કાર બાદ આદર્શ સ્મશાન ખાતે રાખવામાં આવેલી અસ્થિ વિસર્જન માટે લૉકડાઉન ખુલવાની રાહ જોવી છે, લોક ડાઉન લાંબુ ચાલ્યું તો આ અસ્થિરકુંભની સંખ્યાનો વધારો અને અસ્થી સાચવવાની વ્યવસ્થા પણ વિચારવી પડશે તેમ સંચાલકો જણાવે છે.
અસ્થિકુંભ સ્મશાન ખાતે એકઠા થવાનું કારણ એવું પણ છે કે એક તરફ લોકો લોકડાઉનનો અમલ કરી રહ્યા છે, અને બહાર જવાનું ટાળે છે, તો બીજી તરફ ટ્રેન, બસ અને ખાનગીવાહનવ્યવહાર પણ બંધ હોય જેથી જેમના સ્વજનનું અવસાન થયું છે તેના પરિવારજનો માટે પણ દ્વારકા સુધી અસ્થિ વિસર્જન કરવા કેમ પહોચવું તે સવાલ હોય છે, વધુમાં દ્વારકા ખાતેના અમારા પ્રતિનિધિ જણાવે છે કે લોકડાઉન સમય દરમિયાન અહી એકલ દોકલ ને બાદ કરતા કોઈ અસ્થિવિસર્જન કરવા માટે આવેલ નથી.