Mysamachar.in-જામનગર:
આ વર્ષ જેમ ચોમાસામાં જેમ વરસાદે ભુક્કા કાઢ્યા તેમ શિયાળામાં ઠંડી પણ ભુક્કા કાઢી રહી છે, જામનગર શહેર સહિત તાલુકા અને જીલ્લામાં કડકડતી ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે, ત્યારે લોકોની હાલત કફોડી બની રહી છે. જેમાં ખાસ કરીને ફુટપાથ પર રહેતા અને મંદિરો પાસે ભિક્ષાવૃતિ કરતા લોકોની હાલત અત્યંત કફોડી બની રહી છે, અને રાત ક્યાં વિતાવવી તેવો પ્રશ્ન ઉભો થતો હોય છે, ત્યારે હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા આવા નિરાધાર જરૂરિયાતમંદ લોકો માટે ખાસ રાતવાસો કરવા તા. 6 થી 16 સુધી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઠંડીને કારણે જાહેર રોડ, રસ્તા કે ખુલ્લી જગ્યામાં રહેતા લોકોને મુશ્કેલી પડી શકે તે ધ્યાને લઇને રાત્રી દરમિયાન રોડ, રસ્તા કે ખુલ્લી જગ્યા પર રાતવાસો કરવો પડે છે તેવા પરીવાર માટે ઠંડીના સમયમાં બંધ જગ્યામાં સુઇ શકે તેવા આશયથી છેલ્લા બાવીસ વર્ષથી બન્ને સમય ચાલતા અન્ન ક્ષેત્ર પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન ક્ષેત્ર હોલમાં જરૂરીયાતમંદોને રાતવાસો કરવા માટેની વ્યવસ્થા તા. 6 થી 16 એમ 10 દિવસ સુધી જલારામ મંદિર હાપામાં કરવામાં આવી છે અને બન્ને સમય જમવાની અને ચા-પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો જરૂરીયાતમંદોએ લાભ લેવા ટ્રસ્ટના સદસ્ય રમેશભાઇ દતાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.